રફાલ કેસના ચુકાદાની સમીક્ષા માટે કરાયેલી ખામીવાળી અરજીઓ અંગે સુપ્રીમની નારાજગી
સુપ્રીમે ૧૪ ડિસેમ્બરે રફાલ સોદા મુદ્દે મોદી સરકારને ક્લિનચીટ આપી હતી
આ અરજદારો અરજીમાં ખામીઓ સુધારવાને બદલે મીડિયામાં પબ્લિસિટી મેળવવા જાય છે : સુપ્રીમ
Updated: Feb 15th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
રફાલ કેસમાં ખામીવાળી અરજીઓ કરી પબ્લિસિટી મેળવવા માગતા કેટલાક વકીલોની સુપ્રીમે ટીકા કરી છે. રફાલ કેસના ચુકાદાને પડકારવા માટેની સમીક્ષા અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખામીવાળી અરજીઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક વકીલો સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં અરજી ફાઇલ કર્ય પછી તેમાં રહેલી ખામીઓ દૂર કરવાને બદલે તેઓ મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે જાય છે.
રફાલ કેસના ચુકાદાને પડકારતી ખામીવાળી સમીક્ષા અરજીઓના સંદર્ભમાં મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજકર્તાઓ મીડિયામાં જઇ બહોળા પ્રમાણમાં પબ્લિસિટી મેળવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે ૧૪ ડિસેમ્બરના રોજ ભારત અને ફ્રાન્સ વચ્ચે ૩૬ રફાલ યુદ્ધ વિમાન ખરીદવા થયેલી સમજૂતીને પડકારતી અનેક અરજીઓ ફગાવી દીધી છે.
૫૮,૦૦૦ કરોડની સમજૂતીમાં કથિત ગેરરીતિઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ અરજીઓમાં એફઆઇઆર દાખલ કરવા અને કોર્ટની સમીક્ષા હેઠળ તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ તમામ માગો ફગાવી દીધી હતી.
રફાલ સોદા અંગે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની સમીક્ષા માટે જે અરજીઓ કરવામાં આવી હતી તેમાં આપના સાંસદ સંજય સિંહની પણ અરજી પણ સામેલ હતી.