ગાવસ્કરના મતે ભારત નહીં પણ આ ટીમ વર્લ્ડ કપ જીતવા ફેવરિટ
Updated: Feb 17th, 2019
નવી દિલ્હી, તા. 17. ફેબ્રુઆરી 2019 રવિવાર
ઈંગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડ કપ જીતવા માટે ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે ટીમ ઈન્ડિયાની જગ્યાએ ઈંગ્લેન્ડને ફેવરિટ ગણાવ્યુ છે.
ગાવાસ્કરે એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે ભારત નહી પણ ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.હું એવુ એટલા માટે નથી કહેતો કે તેમને હોમ કન્ડીશનનો ફાયદો મળવાનો છે પણ એટલા માટે કહું છું કે તેમણે 2015ના વર્લ્ડ કપ બાદ પોતાની રમતમાં ભારે બદલાવ કર્યો છે.2015માં તેમને બાંગ્લાદેશે હાર આપી હતી.હવે તેમની પાસે સારા બેટ્સમેન, બોલર અને બેન સ્ટોક્સ જેવો ધરખમ ઓલરાઉન્ડર છે.
જોકે ગાવાસ્કરે માન્યુ હતુ કે 2017 અન્ે 2018માં ઈંગ્લેન્ડમાં રમવાનો ફાયદો ભારતને મળશે.ઉલ્લેખનીય છે કે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ફાઈનલ સુધી પહોંચ્યુ હતુ.જ્યારે 2018માં ઈંગ્લેન્ડ સામે વન ડે સિરિઝમાં ભારતે જીત મેળવી હતી.
ગાવાસ્કરે કહ્યુ હતુ કે મને લાગે છે કે ઈંગ્લેન્ડ પછી ભારત જીત માટે બીજા નંબરે છે.આ બે ટીમ સિવાય પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચશે.
ગાવાસ્કરના મતે પાકિસ્તાન ખતરનાક ટીમ બની શકે છે.કારણકે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેણે ભારતને હરાવ્યુ હતુ.વોર્નર અને સ્મિથના સમાવેશ બાદ ઓસ્ટ્રેલિયા પણ મજબૂત ટીમ બનશે. ન્યૂઝીલેન્ડ પણ આશ્ચર્ય સર્જી શકે છે.
30 મેથી વર્લ્ડ કપ શરુ થશે અને ભારતનો પહેલો મુકાબલો 5 જૂને સાઉથ આફ્રિકા સામે છે.