ઉત્તર પ્રદેશમાં વંદે ભારત ટ્રેન પર ત્રીજીવાર પથ્થરમારો : બારીના કાચ તૂટયા
- મોટાભાગે બાળકો જ પથ્થરો ફેંકતા હોવાથી રેલવે પોલીસે તેમને રોકવા મીઠાઇ, ચોકલેટ અને રમકડાં આપ્યા
Updated: Feb 21st, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
ભારતની સૌથી ઝડપી મનાતી ટ્રેન વંદે ભારત પર ફરી એકવાર પથ્થરમારો થયો હતો પરિમામે એક કોચની બારીનો કાચ તુટી ગયો હતો. પથ્થરમારાનો આ ત્રીજો બનાવ હતો.
પથ્થરમારો કરાયો ત્યારે આ ટ્રેન ટુડલાથી પસાર થઇ રહી હતી, એમ રેલવેના પ્રવકતાએ કહ્યું હતું. ૧૭ ડિસેમ્બરે આ ટ્રનની શરૃઆત કરાઇ ત્યાર પછીથી પથ્થરમારાની આ ત્રીજી ઘટના હતી.
અગાઉ ડિસેમ્બરમાં દિલ્હી અને આગ્રા વચ્ચે કરવામાં આવેલી ટ્રાયલ રનમાં પહેલીવાર પથ્થરમારો કરાયો હતો.
ટ્રેન પર પથ્થરમારાની પ્રથમ ઘટના પછી રેલવે પ્રોટેકશન ફોર્સે જ્યાં જ્યાં પણ પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં એક ઝુંબેશ શરૃ કરી હતી. દિલ્હીમાં બનેલી ઘટનાઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પથ્થરમારો કરનારાઓમાં મોટાભાગે બાળકો હતા.
ત્યાર પછીથી રેલવે પ્રોટેકશન ફોર્સે બાળકો ફરીથી ટ્રન પર પથ્થરમારો ના કરે તે માટે તેમને રમકડાં, મીઠાઇ, કલર પેન્સિલ અને અન્ય વસ્તુઓ આપવાની શરૃઆત કરી હતી.