સ્ટર્લિંગ બાયોટેકના ભાગેડુ સાંડેસરા ભાઈઓએ બીનજામીનપત્ર વોરંટ રદ કરવા અરજી કરી
- 8100 કરોડનું લોન કૌભાંડ
- વકીલ મારફત અરજી કરી, કોર્ટે 15 દિવસમાં સરનામા જણાવવા આદેશ કર્યો
Updated: Feb 14th, 2019
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
સ્ટર્લિંગ બાયોટેકના ભાગેડુ પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાએ દિલ્હી હાઇકોર્ટમાં નોને બેઇલેબલ વોરંટ રદ કરવા અરજી કરી હતી તેમના પર ૮૧૦૦ કરોડના બેંક કૌભાંડનો આક્ષેપ છે.
તેમણે પોતાના વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી, સેશન જજ સતીષકુમારે તેમને તેમના સરનામા ઇ.ડી.ને ૧૫ દિવસમાં આપવાનો આદેળશ કરી હવે પછીની સુનાવણી બીજી એપ્રિલે ઠેરવી હતી.
સાંડેસરા બંધુઓએ પોતાના વકીલ મારફત કોર્ટમાં રજૂઆત કરવાની પરવાનગી માંગી હતી. તેનો ઇ.ડી.એ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, નાઇજિરિયા અને ઇટાલીથી આરોપીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૃ થઈ છે તેઓ તપાસ શરૃ થઈ ત્યારથી જ ફરાર છે તેથી તેમની સામે નોન બેઇલેબલ વોરંટ ઇશ્યૂ કર્યુ છે.
સ્ટર્લિંગના બીજા પ્રમોટર હેમન્ત હાથી પર પણ ઇ.ડી.એ ચાર્જશીટ મૂક્યા હતા. તેઓ કોર્ટમાં હાજર થયા હતા અને જામીન માટે અરજી કરી હતી. તેમને કોર્ટે એક લાખની રોકડ ગેરંટી પર જામીન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઇડીએ લગભગ ૧૮૦ કંપનીઓના ૧૯૦ આરોપી સામે ચાર્જશીટ મૂક્યા હતા જેમને ઓપન એન્ડેડ નોન બેઇલેબલ વોરંટ જારી કરાયા હતા. આ પ્રકારના વોરંટને કોઈ સમયમર્યાદા હોતી નથી.