પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવ માટે રાજ્યો જવાબદાર : PM મોદીની રાજ્યોને VAT ઘટાડવા સલાહ
વડાપ્રધાને દેશમાં વધી રહેલી મોંઘવારીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો અને તે માટે રાજ્ય સરકારો જવાબદાર હોવાનો આડકતરો સંકેત આપ્યો
Updated: Apr 27th, 2022
નવી દિલ્હી, તા.27 એપ્રિલ, 2022, બુધવાર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસના સંક્રમણ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાને દેશમાં કોરોના સંક્રમણને કડક પ્રતિબંધો લાદીને અને ઝડપી રસીકરણથી જીત મેળવી છે અને હવે નાના બાળકોને પણ કોવિડ-19ની વેક્સિન મુકવા અંગેની જાહેરાત કરી હતી. કોરોના સંબંધિત પ્રવચનમાં વડાપ્રધાને દેશમાં વધી રહેલી મોંઘવારીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો અને તે માટે રાજ્ય સરકારો જવાબદાર હોવાનો આડકતરો સંકેત આપ્યો હતો.
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી દેશમાં મોંઘવારી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે એવુ જણાવતા પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને વેટ ઘટાડવા સૂચન કર્યુ છે. જો રાજ્ય સરકારો વેટ ઘટે તો લોકોને સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ મળે અને દેશમાં વધી રહેલી મોંઘવારી પર અંકુશ મૂકી શકાય છે.
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, ઘણા રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને લોકોને સસ્તા ઇંધણનો લાભ આપ્યો છે. જો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો નથી અથવા તો વેટમાં વધારે કર્યો નથી, જેના લીધે સમગ્ર દેશમાં ફુગાવો વધી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીયે તો વડાપ્રધાને ઉપરોક્ત રાજ્યોને તેમને વેટ ઘટાડવા સ્પષ્ટ સંકેત આપ્યો છે.