આતંકીઓએ દેશની આત્મા પર હુમલો કર્યો છે, સમગ્ર વિરોધ પક્ષ સરકાર અને સુરક્ષા દળોની સાથે : રાહુલ
પુલવામાના હુમલાના સંદર્ભમાં આજે સર્વપક્ષીય બેઠક
વિશ્વ હિંદુ પરિષદે કેન્દ્ર સરકારને પાકિસ્તાન સ્થિત આતંકીઓના આશ્રયસ્થાનોનો નાશ કરવાની માગ કરી
Updated: Feb 15th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાને દેશની આત્મા પર હુમલો ગણાવતા જણાવ્યું છે કે સમગ્ર વિરોધ પક્ષ સરકાર અને સુરક્ષા દળોની સાથે છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુનામનબી આઝાદ અને એ કે એન્ટોની સાથે યોજેલી પત્રકાર પરિષદમાં રાહુલે જણાવ્યું હતું કે પ્રેમ અને લાગણી પર રચાયેલા ભારત દેશને કોઇ તોડી શકશે નહીં.
આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદે કેન્દ્ર સરકારને પાકિસ્તાન સ્થિત આતંકીઓના આશ્રયસ્થાનોનો નાશ કરવાની માગ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે આ ઘટનાના સંદર્ભમાં આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે આ એક દુઃખદ ઘટના છે. આપણા જવાનો વિરુદ્ધ આવા પ્રકારની ઘટના કોઇ પણ ભોગે સહન નહીં કરી લેવાય. આતંકવાદનો ઉદ્દેશ આ દેશને વિભાજિત કરવાનો છે પણ આ લોકો ગમે તેટલા પ્રયત્નો કરી લે પણ આ દેશના લોકો એક સેકન્ડ માટે પણ વિભાજિત થશે નહીં.
ગઇકાલે થયેલા હુમલાને દેશની આત્મા પર થયેલો હુમલો ગણાવતા રાહુલે જણાવ્યું હતું કે આ હુમલા કરનારા એમ ન સમજે કે તેઓ આ રીતે દેશને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકશે.
દેશ આવી ઘટનાઓને ભૂલી શકતું નથી. જ્યારે તેમને સુરક્ષા દળોને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવ્યા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં અમે સરકાર અને સુરક્ષા દળોની સાથે છીએ.
શહીદ જવાનોના પરિવારજનોને અમારી જરૃર છે અને અમે તેમની સાથે છીએ. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા અન્ય કોઇ ચર્ચા કરવામાં આવશે નહીં.
હુમલા સામે કડક કાર્યવાહી કરવા અંગે ચાલી રહેલી માગ અંગે રાહુલે જણાવ્યું હતું કે હું આ અંગે કોઇ ટિપ્પણી કરવા માગતો નથી. એક વાત સ્પષ્ટ છે કે મને દુઃ ખ થયું છે, દેશના દરેક નાગરિકને દુઃખ થયું છે. હું શહીદોના પરિવારજનોેને જણાવવા માગું છું કે અમે અને તમામ સુરક્ષા દળો તેમની સાથે છે.