બિહારના શેલ્ટર હોમમાંથી ભાગેલી છ બાળા થોડા કલાકો પછી મળી આવી
Updated: Feb 24th, 2019
(પીટીઆઇ) પટણા, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર
ગ્રામીણ પટણાના નાનકડા નગર મોકામાના એેક શેલ્ટર હોમમાંથી શનિવારે વહેલી સવારે ભાગી ગયેલી સાતમાંથી છ બાળાઓને થોડા કલાકોમાં જ દરભંગા જિલ્લામાંથી પકડી પાડવામાં આવી હતી, એમ પોલીસે આજે કહ્યું હતું. દરભંગાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે 'સાતમાંથી છ સગીરાઓ મોડી સાંજે સકતાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના ગંગોલીમાંથી મળી આવી હતી.
તેમણે કહ્યું હતું કે તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પટણા જિલ્લામાંથી પોલીસની એક ટીમ સગીરાઓને શોધવા અત્રે આવી હતી. ભાગી છુટેલી બાળાઓમાં એક ગંગોલી ગામની છે.
અન્ય પાંચની સાથે આ સગીરા પણ ગામમાંથી જ મળી આવી હતી.અહીં આવેલી પોલીસ ટુકડીઓ તમામનો કબજો લઇ લીધો હતો. આ ઘટનાના કારણે વિરાધ પક્ષોએ કુમાર સરકાર પર પસ્તાળ પાડી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહેલી બળાત્કાર કૌભાંડ કેસની તપાસમાં આ પાંચ સગીરાઓ સાક્ષી છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મોટા માથાઓને બચાવવા માટે શાસક પક્ષ દ્વારા ષડયંત્ર ઘડી બાળાઓને ભગાડી દેવામાં આવી હતી.'શેલ્ટર હોમમાંથી સગીરાઓ ભાગી તઇ હતી. જાણી કાપીને ભાગી ગઇ હોવાનું કહેવાય છે. તેમના હિસંક વર્તણુંકની સારવાર કરવામાં આવી રહી છે'એમ સામાજીક કલ્યાણ વિભાગના ડાયરેકટરે કહ્યું હતું.