સીયાચીનમાં ફરજ બજાવનાર જવાન લડી રહ્યો છે ભારતીયતા સાબિત કરવાની લડાઈ
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર
ભારતની રક્ષા માટે દુષ્કર સીયાચીન સહિતના વિવિધ મોરચા પર ફરજ બજાવી ચુકેલા ભારતીય સેનાના જવાનને હવે પોતાની જ ભારતીયતા સાબિત કરવા માટે જંગ લડવાનો વારો આવ્યો છે.
અસમ જિલ્લાના બારપેટાના રહેવાસી શહિદુલ ઈસ્લામ ભારતીય સેનામાં સૂબેદારના પદે છે.હાલમાં તેમનુ પોસ્ટિંગ કોલકાતામાં થયેલુ છે.એ પહેલા તેઓ કાશ્મીરના બારામૂલામાં પણ ફરજ બાજવી ચુક્યા છે.કોલકાતા પહેલા તેમને સિયાચીન ખાતે મોકલવામાં આવ્યા હતા.
જોકે શહિદુલ હવે વિદેશીઓ માટેની ટ્રિબ્યુનલમાં પોતાની નાગરિકતા સાબીત કરવા માટેની લડાઈ લડી રહ્યા છે.નાગરિકતા મામલામાં આ સૈનિકની વધુ સુનાવણી 18 માર્ચે થવાની છે.શહિદુલનુ કહેવુ છે કે જો તેઓ પોસ્ટિંગ પર હશે તો આ સુનાવણીમાં હાજર નહી રહી શકે.
શહિદુલના બે ભાઈ મિઝાનુર સીઆઈએસએફ અને દિલબર અલી આર્મીની મેડિકલ બ્રાન્ચમાં ફરજ બજાવે છે.2003માં રાજ્ય સીમા પોલીસે તેમના પરિવારની નાગરિકતા સામે સવાલ ઉઠાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.વિદેશી નાગરિકો માટેની ટ્રિબ્યુનલમાં હાજર રહેવાની પહેલી નોટિસ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેમને મળી હતી.
જોકે સેનાના અધિકારીઓનુ કહેવુ છે કે આસામના મુખ્યમંત્રીને ગત 20 ડિસેમ્બરે લખેલા પત્રમાં સ્પષ્ટ કરાયુ છે કે જ્યારે શહિદુલ અને તેના ભાઈની સેનામાં ભરતી થઈ ત્યારે તેમને ભારતીય નાગરિક માનવામાં આવ્યા હતા.