શહીદ પ્રદીપ યાદવ પત્ની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે જ બ્લાસ્ટ થયો અને....
Updated: Feb 16th, 2019
કાનપુર,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામા હુમલાના શહીદોના ઘરમાં માતમ પ્રસરેલો છે.આજે શહીદોના મૃતદેહ તિરંગામાં લપેટાઈને તેમના ઘરે પહોંચ્યા છે.
આ પૈકીના એક કાનપુરના શહીદ પ્રદીપસિંહ યાદવની પત્નીએ તો પતિનો જીવ લેનાર બ્લાસ્ટના ધડાકાને ફોન પર જ સાંભળ્યો હતો.જ્યારે આત્મઘાતી આતંકવાદીએ બ્લાસ્ટ કર્યો ત્યારે પ્રદીપકુમાર પોતાની પત્ની સાથે જ ફોન પર વાત કરી રહ્યા હતા.
પ્રદીપસિંહ યાદવની પત્ની નીરજ દેવીએ કહ્યુ હતુ કે હું ફોન પર તેમની સાથે વાત કરી રહી હતી અને અચાનક જ કાન ફાડી નાંખે તેવો અવાજ મને સંભળાયો હતો અને પછી સન્નાટો ફેલાઈ ગયો હતો.ફોન ડિસકનેક્ટ થઈ જતા મને કશું અમંગળ થયુ હોવાનો અણસારો આવી ગયો હતો.એ પછી મેં સતત ફોન લગાવવાની કોશિશ કરી હતી પણ બધુ ખતમ થઈ ગયુ હતુ.
નીરજ દેવીએ આંસુભરી આંખે કહ્યુ હતુ કે, થોડા સમય બાદ મને સીઆરપીએફ કંટ્રોલ રુમમાંથી ફોન આવ્યો હતો અને બોમ્બ બ્લાસ્ટમાં મારા પતિનુ મોત થયુ હોવાની ખબર મળી હતી.
શહીદ પ્રદિપસિંહ યાદવને 10 વર્ષ અને બે વર્ષની બે દીકરીઓ છે.જ્યારે આ ઘટના બની ત્યારે તેમના પત્ની પિયર ગયા હતા.