સુપ્રીમ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી પર વિચાર કરશે
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠનું નિવેદન
કલમ ૩૭૦ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે જે હેઠળ સંસદ પાસે તેના માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય છે
Updated: Feb 18th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય છે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવા પર વિચાર કરશે. વરિષ્ઠ વકીલ અને ભાજપ નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ અંગેની અરજીઓ રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવાથી તેની તાત્કાલિક સુનાવણી થવી જોઇએ.
ખંડપીઠે ઉપાધ્યાયને જણાવ્યું હતું કે રજિસ્ટ્રારને તમારો મેમો આપી દો. અમે આ અંગે વિચાર કરીશું. ઉપાધ્યાયે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે બંધારણ ઘડતી વખતે આ વિશેષ જોગવાઇ અસ્થાયી સ્વરૃપની હતી અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૭ના રોજ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ થયા પછી કલમ ૩૭૦(૩) સમાપ્ત થઇ ગઇ હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સુપ્રીમ કોર્ટને જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણને વિવિધ આધારો પર મનસ્વી અને ગેરબંધારણીયને જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ એક રાષ્ટ્ર, એક બંધારણ, એક રાષ્ટ્રગાન અને એક ધ્વજના સિદ્વાંતની વિરુદ્ધ છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બંધારણની કલમ ૩૭૦નો મહત્તમ કાર્યકાળ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ સુધી હતો.