સુપ્રીમમાં આજે અયોધ્યાની રામ-જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી
રંજન ગોગોઇ, એસ એ બોબડે,ડી વાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ એસ અબ્દુલ નઝીરની બનેલી ખંડપીઠ સુનાવણી કરશે
૨૦૧૦ના અલ્લાહબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં ૧૪ અપીલ
Updated: Feb 25th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા અયોધ્યાની રામ-જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી થશે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની બનેલી ખંડપીઠ આ કેસની સુનાવણી હાથ ધરશે.
આ અગાઉ ૨૭ જાન્યુઆરીના રોજ સુપ્રીમે જાહેરાત કરી હતી કે ન્યાયમૂર્તિ બોબડે હાજર ન હોવાના કારણે ૨૯ જાન્યુઆરીની સુનાવણી રદ કરવામાં આવે છે.
૨૦૧૦ના અલ્લાહબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અપીલ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અલ્લાહબાદ હાઇકોર્ટે ૨.૭૭ એકરની જમીનને સુન્ની વકફ બોર્ડ, નિર્મોેહી અખાડા અને રામ લલ્લા એમ ત્રણ પક્ષકારો વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ન્યાયમૂર્તિ યુ યુ લલિત આ કેસની સુનાવણીમાંથી ખસી જતા ૨૫ જાન્યુઆરીએ આ કેસની સુનાવણી માટે નવી ખંડપીઠની રચના કરવામાં આવી હતી. નવી બેન્ચમાં ન્યાયમૂર્તિ એન વી રામણાને સામેલ કરવામાં આવ્યા નથી.
ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ અને ન્યાયમૂર્તિ એન વી રામણાને સ્થાને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરને સામેલ કરવામાં આવ્યા છે.
આ સુનાવણીની સાથે આ કેસ સાથે સંકળાયેલી અન્ય અરજીઓની પણ સુનાવણી કરવામાં આવશે. જેમાં ૨૯ જાન્યુઆરીએ કેન્દ્રે ૬૭ એકરની બિનવિવાદાસ્પદ જમીન તેમના મૂળ માલિકોને પરત આપવાની અરજી કરી હતી.
અયોધ્યાના વિવાદાસ્પદ રામ મંદિરમાં પૂજા કરવા દેવાની માગ કરતી અરજીની તાત્કાલિક સુનાવણી માટે સુબ્રમણ્મ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ સંદર્ભમાં સુપ્રીમે સુબ્રમણ્યમ સ્વામીને આવતીકાલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.