અનિલ અંબાણીને ચાર સપ્તાહમાં એરિક્સનને ૪૫૩ કરોડ ચૂકવવાનો સુપ્રીમનો આદેશ
એરિક્સનને બાકી રકમ નહીં ચૂકવવાનો કેસ
જો ચાર સપ્તાહમાં આ રકમ ચૂકવવામાં નહીં આવે તો અનિલ અંબાણી, સતિષ શેઠ અને છાયા વિરાણીને ત્રણ મહિનાની જેલ થશે
Updated: Feb 20th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
એરિક્સનને ૫૫૦ કરોડની બાકી રકમ ન ચૂકવીને કોર્ટનો અનાદર કરવા બદલ સુપ્રીમ કોર્ટે આરકોમના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય બેને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જો ચાર સપ્તાહમાં એરિક્સનને ૪૫૩ કરોડ રૃપિયા ચૂકવવામાં નહીં આવે તો આ ત્રણેયને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આરકોમના ચેરમેન અને રિલાયન્સ ટેલિકોમના ચરેમેન સતિષ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાણીએ સુપ્રીમ કોર્ટને આપેલી બાહેંધરીનો ભંગ કર્યો છે.
કોર્ટના આદેશનો ભંગ કરવા બદલ અંબાણીને ફક્ત ચાર જ સપ્તાહમાં એરિક્સનને ૪૫૩ કરોડ રૃપિયા ચૂકવવા પડશે.
ન્યાયમૂર્તિ આર એફ નારિમાન અને વિનીત સરનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ચાર સપ્તાહમાં એરિક્સનને નાણા ચૂકવવામાં નહીં આવે તો તેમને ત્રણ મહિના જેલમાં રહેવું પડશે. જ્યારે આ ચુકાદો આપવામાં આવ્યો ત્યારે અંબાણી, શેઠ અને વિરાણી કોર્ટ રૃમમાં હાજર હતાં.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં એક-એક કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો આ રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવામાં નહીં આવે તો તેમને અલગથી વધુ એક મહિનાની જેલ થશે.
સુપ્રીમ કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યા છે કે અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ દ્વારા અત્યાર સુધી સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીની જમા કરાવવામાં આવેલા ૧૧૮ કરોડ રૃપિયા એક સપ્તાહની અંદર એરિક્સનને ચૂકવી દેવામાં આવે.
એરિક્સનને ૫૫૦ કરોડ ચૂકવવા માટે અનિલ અંબાણી જૂથને પ્રથમ ૧૨૦ દિવસ અને ત્યારબાદ વધારાના ૬૦ દિવસ આપવામાં આવ્યા હોવા છતાં તે આ નાણાં ચૂકવી શક્યું નથી.
સુપ્રીમના આ ચુકાદા પછી અનિલ અંબાણી જૂથના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ અને મને આશા છે કે અનિલ અંબાણી જૂથ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે.