સુપ્રીમ સુરક્ષા દળોના માનવ અધિકારોનું રક્ષણ કરવાની અરજી પર સુનાવણી કરવા તૈયાર
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠનો નિર્ણય
આ અરજી સેનાના બે અધિકારીઓની પુત્રી૧૯ વર્ષીય પ્રિતી કેદાર ગોખલે અને ૨૦ વર્ષીય કાજલ મિશ્રાએ કરી છે
Updated: Feb 25th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
પોતાની ડયુટી કરતી વખતે ટોળાના હુમલાનો સામનો કરતા સુરક્ષા દળોના માનવ અધિકારોનું રક્ષણ કરવાની માગ સાથે કરાયેલી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે તૈયારી બતાવી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ની બનેલી ખંડપીઠે આ અરજીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, જમ્મુ અને કાશ્મીર સરકાર તથા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન(એનએચઆરસી)ને નોટીસ ફટકારી છે.
આ અરજી ૧૯ વર્ષીય પ્રિતી કેદાર ગોખલે અને ૨૦ વર્ષીય કાજલ મિશ્રા દ્વારા કરવામાં આવી છે. આ અરજકર્તાઓએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો પર પથ્થરમારો કરવામાં આવે છે ત્યારે અમે વિચલિત થઇ જઇએ છીએ.
આ અરજીમાં માગ કરવામાં આવી છે કે સુરક્ષા દળોના જવાનોના માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે એક નીતિનું ઘડતર કરવામાં આવે.
આ અરજકર્તાઓ સેનાના અધિકારીઓની પુત્રીઓ છે. એક પુત્રીના પિતા હાલમાં સેનામાં કાર્યરત છે જ્યારે બીજાના પિતા સેનામાંથી નિવૃત્ત થઇ ગયા છે.
અરજીમાં સૈન્યકર્મીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે પથ્થરમારો કરનારાઓની વિરુદ્ધ આત્મરક્ષણ કરવા માટે કરાયેલી કાર્યવાહી અંગે પણ કેસ દાખલ કરવામાં આવી રહ્યાં છે.
અરજીમાં પૂર્વ મુખ્યપ્રધાનની વિધાનસભામાં પથ્થરમારો કરનારા વિરુદ્ધ દાખલ કરાયેલી ૯૭૬૦ એફઆઇઆર ફક્ત એટલા માટે રદ કરવામાં આવશે કેમકે તેમણે આ અપરાધ પ્રથમ વખત કર્યો હોવાની જાહેરાત સ્તબ્ધ કરનારી છે.