પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હવે રાજકારણમાં ઝંપલાવશે: ફેસબૂકમાં જાહેરાત કરી
- ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા અનુભવે પ્રેરિત કર્યાનો દાવો મારી સામેના કેસ બદલાથી પ્રેરિત અને બદનામ કરવા માટેના છે: વાડ્રા
Updated: Feb 24th, 2019
નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ ઇશારો કર્યો હતો કે તેઓ પણ ટુંક સમયમાં રાજકારણમાં પ્રેવશ કરશે.
પ્રિયંકાના રાજકારણમાં પ્રવેશના થોડા દિવસો પછી જ વાડ્રાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં લખ્યું હતું કે મારે પણ રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવી જોઇએ. આ જાહેરાતથી ભાજપને ટીકા કરવાની તક મળી હતી અને તેમણે વાડ્રાના નિર્ણય પર પ્રહારો કર્યા હતા.
પોતાની સામેના તમામ કેસ રાજકીય બદલાના હોવાનો દાવો કરનાર વેપારી એવા વાડ્રાએ રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે વાડ્રાએ ફેસબુક એકાઉન્ટમાં લખ્યું હતું કે ' દેશના અને ખાસ તો ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં વર્ષો અને મહિનાઓ સુધી કરેલા ચૂંટણી પ્રચારે મને લોકો માટે કંઇ વધુ કરવાની પ્રેરણા આપી હતી.
મને કેટલાક લોકોએ પ્રેમ આપ્યો હતો અને આશિર્વાદ પણ આપ્યા હતા. આટલા વર્ષો સુધી રાજકારણમાં રહીને મેં જે કંઇ શીખ્યું છે તેને નકામું નહીં જવા દઉં'એમ તેમણે લખ્યું હતું.
તો આ તરફ તપાસ કરનાર અધિકારીઓ માને છે કે વાડ્રા સીધી કે આડકતરી રીતે લંડનની કેટલીક ઇમારતોનો માલીક છે જ. આ મિલકતોની કિંમત આશરે ૧.૨ કરોડ પાઉન્ડ થાય છે. આ મિલકતોમાં ત્રણ વિલા અને બાકીના લકઝુરિયસ ફલેટનો સમાવેશ થાય છે. તેમનો દાવો છે કે યુપીએની સરકારમાં વર્ષ ૨૦૦૫થી ૨૦૧૦ દરમિયાન આ મિલકતો ખરીદવામાં આવી હતી.
પ્રિયંકાએ પતિ રોબર્ટ વાડ્રા પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતા દેખાડી હતી અને દરેક સ્થિતિમાં વાડ્રાની સાથે જ રહેશે તેવો ઇશારો કર્યો હતો. વાડ્રા એ લખ્યું હતું કે એકવાર આ તમામ આરોપો અને કેસો પુરા થઇ ગયા પછી માતે લોકોની મદદ માટે મોટી ભૂમિકા ભજવવી જોઇએ.