રાજ્યસભામાં પાસ થયું એરક્રાફ્ટ સંશોધન બિલ, હવે પ્લેનમાં મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં થશે તો થશે એક કરોડનો દંડ
- નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે
- દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા છે, જે વધારીને 1 કરોડ કરવામાં આવી
Updated: Sep 15th, 2020
નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
રાજ્યસભામાં વિમાન સુધારણા બિલ, 2020 બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં, ત્રણ નિયમનકારી સંસ્થાઓ – નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કચેરી અને હવાઇ અકસ્માત તપાસ કચેરી – નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન કામગીરીની સલામતીના સ્તરને વધારવામાં મદદ કરશે. બિલમાં વિમાન કાયદા 1934 માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં, દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા છે, જે બિલમાં વધારીને 1 કરોડ કરવામાં આવી છે.
વિમાનમાં હથિયારો, દારૂગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવાની સજા ઉપરાંત કે કોઈપણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવામાં આવસે તો સજાની સાથે દંડની રકમ 10 લાખ રૂપિયા હતી. આ નિયમોમાં ફેરફાર કરાયા છે. એરક્રાફ્ટ બિલમાં સુધારો કરીને, હાલની પેનલ્ટીની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં થશે તો સજાની સાથે એક કરોડનો થશે દંડ
વિમાન સુધારણા બિલનો વિરોધ કરતાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે તે પીપીપી મોડેલ પર એરપોર્ટ વિકસાવવાના નામે એક કૌભાંડ છે. ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે બિલનો બચાવ કરતાં કહ્યું કે આ બિલ આપણા ઉડ્ડયન ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવાનું છે, જેના પગલે મુસાફરોની અવરજવરમાં મોટો વધારો થયો છે.