પાક. સામેનો પ્લાન ઘડવા રાજનાથે સૈન્ય-નેવી અને એરફોર્સના વડા સાથે બેઠક યોજી
-પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારીઓ શરૂ
-રાજનાથસિંહ સાથે મોદીએ પણ સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરી, આકામક જવાબ અંગે પણ વિચારણા
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી, તા.23 ફેબ્રુઆરી 2019,શનિવાર
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે આક્રામક કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સાથેનો હિસાબકિતાબ પુરો કરવાની વડા પ્રધાન મોદીએ ચેતવણી આપી છે ત્યારે બીજી તરફ સરહદે આક્રામક પગલા લેવાની તૈયારી પણ ચાલી રહી છે.
જેના ભાગરુપે ગૃહ પ્રધાન રાજનાથસિંહે સૈન્યના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આર્મી, નેવી અને એરફોર્સના વડાઓની સાથેની આ બેઠક બાદ રાજનાથસિંહ સાથે નરેન્દ્ર મોદીએ પણ બેઠક યોજી હતી અને આગામી પ્લાનની ચર્ચા કરી હતી.
શનિવારે યોજાયેલી આ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુલવામા હુમલામાં ૪૦થી વધુ જવાનોની શહીદી બાદ પાકિસ્તાનને આક્રામક જવાબ આપવા માટે પણ સરકાર પર દબાણ વધી રહ્યું છે. અગાઉ સરકારે પાકિસ્તાનની વસ્તુઓની આયાત ડયુટી ૨૦૦ ટકા કરી નાખી હતી જ્યારે પાક. તરફ જતા પાણીને પણ અટકાવી દેવાની વાત કરી હતી. ત્યારે હવે પાકિસ્તાન સામે વધુ એક પ્લાન તૈયાર થઇ રહ્યો છે જે મુદ્દે રાજનાથસિંહ સાથે સૈન્યના ત્રણેય પાંખના વડાઓ મળ્યા હતા.