રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ પણ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું : હુડ્ડા નેતૃત્વ કરશે
- સર્જીકલ સ્ટ્રાઇકનો હિસ્સો બનેલા લેફ.જનરલ હુડ્ડાની ટીમ નિષ્ણાતો સાથે મળી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
પુલવામામાં કરાયેલા આતંકી હુમલા અને ત્યાર પછી તેના પર રમાઇ રહેલા રાજકારણ પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે પોતાના એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ફોર્સનું નેતૃત્વ નિવૃત્તિ જનરલ ડી.એસ.હુડ્ડા કરશે જેઓ ભારતે ૨૦૧૬માં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો હતો. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓના લોંચપેડ પર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે પાક.સ્થિત આતંકીઓના અડ્ડા પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે સરકાર અને ભાજપે તેનો બહુ પ્રચાર કર્યો હતો, પરંતુ જનરલ હુડ્ડાએ આ પધ્ધતીનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઇક જરૃરી હતી અને એટલા માટે જ અમે તે કર્યું હતું.હવે આનો પ્રચાર ના થવો જોઇએ. જો કોઇ એમ માનતું હોય કે સર્જીકલ સ્ટ્રાઇક કરવાથી આતંકવાદ ખલાસ થઇ જશે તો તે એક મોટી ભુલ હશે.
હુડ્ડાની ટીમ સંરક્ષણ ક્ષેત્રના જાણીતા નિષ્ણાતો સાથે મળીને એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે.આમ રાહુલ ગાંધીએ સર્જીકલ સ્ટ્રાઇકનો ભાજપ ચૂંટણીના પ્રચારમાં ગેર લાભ ના ઉઠાવે તેની અગમચેતી રૃપે પોતાના જ ફોર્સની રચના કરી દીધી.