રફાલ સોદામાં ઓફસેટ ભાગીદારની પસંદગી કરવા અંગે કોઇ દબાણ ન હતું : ફ્રાન્સ
અનિલ અંબાણીને રફાલનો કરાર આપવા સામે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ફ્રાન્સનું નિવેદન
ફ્રાન્સની મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા
Updated: Feb 14th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
ભારતમાં રફાલ સોદા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાન્સે આજે સ્પષ્ટતા કરી છે કે ઓફસેટ ભાગીદારની પસંદગી કરવા માટે ભારત સરકાર દ્વારા કોઇ દબાણ બનાવવામાં આવ્યું નથી.
રફાલ સોદા અંગેનો કેગનો અહેવાલ સંસદમાં રજૂ થયાના બીજા દિવસે ફ્રાન્સ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગઇકાલે સંસદમાં રજૂ કરાયેલા કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારે કરેલો રફાલ સોદો યુપીએ કરતા ૨.૮૬ ટકા સસ્તો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં ભારત સ્થિત ફ્રાન્સના રાજદૂત એલેકઝાન્ડર ઝિગલેરે જણાવ્યું હતું કે ફ્રાન્સમાં સરકારના નામે કોઇ સમજૂતી કરવામાં આવે છે તો તે સમજૂતીની સઘળી જવાબદારી ફ્રાન્સ સરકારની હોય છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાજદૂતની આ ટિપ્પણી એટલા માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે કારણકે સમજૂતીમાં સેવોરિયન ગેરંટી ન હોવા સામે અનેક પ્રશ્રો ઉઠાવવામાં આવી રહ્યાં છે.