પુલવામા એટેક: વિસ્ફોટક ભરેલી SUV સાથે ટક્કરથી નહીં પરંતુ IEDથી થયો હતો વિસ્ફોટ
Updated: Feb 18th, 2019
નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમાલામાં CRPFના 40 જવાનો શહીદ થયાના 4 દિવસ બાદ સોમવારે બોમ્બ ડેટા સેન્ટરની રિપોર્ટ એક અગ્રણી ન્યુઝ ચેનલને હાથ લાગી છે, જેમાં એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે.
રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તેનાથી વિપરીત વિસ્ફોટ CRPFના જવાનોની બસ વિસ્ફોટક ભરેલી SUV સાથે ટક્કર થવાના કારણે નહીં પરતુ વિસ્ફોટ કરવા માટે મોટી સંખ્યામાં સ્વિચ-ટ્રિગર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, વિસ્ફોટકનો જથ્થો અંદાજે 75-135 કિલોગ્રામની માનવામાં આવી રહ્યો છે અને આ તમામ જથ્થો આરડીએક્સનો ન હતો, પરંતુ આગ લગાવનાર વિસ્ફોટક અને આરડીએક્સની સાથે એમોનિયમ નાઇટ્રેટ મિશ્રિત પદાર્થ હતા. આ હુમલા પાછળ ખુબ મોટુ ષડયંત્રણ રચવામાં આવ્યું હતુ અને સમય-સમય પર વિસ્ફોટકો એકઠા કરવામાં આવ્યા, જે ઇન્ટેલિડન્સની નિષ્ફળતા દર્શાવે છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં દેશી બોમ્બ અને અન્ય બોમ્બ વિસ્ફોટની સંખ્યામાં વધારો થયો છે અને 2018માં આવી ઘટનામાં 57 ટકા વૃદ્ધી થઇ છે જ્યારે ડાબેરી ઉગ્રવાદીઓના વિસ્તારમાં અને નક્સલ પ્રભાવિચ પૂર્વોત્તરમાં આવી ઘટનાઓ ઘટી છે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ વાત સામે આવી છે.
પાકિસ્તાન અને ચીનની સરહદ નજીક આવેલા આ રાજ્યમાં 2014માં 37 બોમ્બ (દેશી અને અન્ય) બ્લાસ્ટ થયા, 2015માં 46 બ્લાસ્ટ, 2016માં 69 બ્લાસ્ટ, 2017માં 70 બ્લાસ્ટ અને 2018માં 117 આવા બોમ્બ બ્લાસ્ટ થયા. એનએસજીના ડેટા સેન્ટર (એનબીડીસી)એ આ રિપોર્ટ રજુ કરી છે.