કાશ્મીરમાં હવે આર યા પાર? જવાનોની રજાઓ રદ, લોકોને રાશન- દવાનો સ્ટોક કરવા સૂચના
Updated: Feb 24th, 2019
નવી દિલ્હી, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર
પુલવામા હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે સરકાર કાર્યવાહી કરી રહી છે તે જોતા સરકાર નિર્ણાયક પગલા લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યુ છે.
છેલ્લા 24 કલાકમાં ભાગલાવાદી નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે.અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને રાતોરાત કાશ્મીર મોકલવામાં આવી છે અને સમગ્ર કાશ્મીરને હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યુ છે
કાશ્મીરમાં તૈનાત તમામ જવાનોની રજાઓ રદ, રિઝર્વ સૈનિકોને પણ ટુંકી મુદતની નોટીસ મળતા જ ફરજ પર હાજર થવા જણાવાયુ છે.સંરક્ષણ નિષ્ણાતોનુ પણ કહેવુ છે કે એક સાથે 100 કંપનીઓને મોકલવાનુ પગલુ અભૂતપૂર્વ છે.આવુ ભાગ્યે જ થતુ હોય છે.એક કંપનીમાં સામાન્ય રીતે 100 થી 125 સૈનિકો હોય છે.
જમ્મુ કાશ્મીર વહિવટીતંત્ર દ્વારા લોકોને દવા અને રાશનનો પર્યાપ્ત સ્ટોક કરી લેવા જણાવાયુ છે.
સરકારે જાસૂસી એજન્સીઓને પણ સુરક્ષા દળો સાથે સતત સંપર્કમાં રહેવા માટે જણાવ્યુ છે.
એવુ મનાય છે કે સરકાર કાશ્મીરમાં 35 એની કલમ હટાવવા માટે પણ અધ્યાદેશ લાવી શકે છે.આ કલમ હેઠળ કાશ્મીરમાં અન્ય કોઈ રાજ્યોના નાગરિકને સંપત્તિ ખરીદવાનો અધિકાર નથી.