પુડુચેરીના મુખ્ય પ્રધાન પણ મમતાના માર્ગે
-ગવર્નરના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠા
આઇપીએસ કિરણ બેદી હાલ ગવર્નર છે
Updated: Feb 14th, 2019
પુડુચેરી તા.14 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની જેમ હવે પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામીએ ધરણા શરૂ કર્યા હતા. નારાયણસામી હાલ રાજ્યના લેફ્ટનંટ ગવર્નર કિરણ બેદીના સત્તાવાર નિવાસસ્થાનની સામેની સડક પર ધરણા કરી રહ્યા છે.
તેમણે એવો આક્ષેપ મૂક્યો હતો કે લેફ્ટનંટ ગવર્નર કિરણ બેદી અમારા કેટલાક પ્રજાલક્ષી પ્રસ્તાવો પર ચપ્પટ બેસી ગયા છે. આવો એક પ્રસ્તાવ લોકોને મફત ચોખા આપવાનો છે.
સામાન્ય રીતે સફેદ વસ્ત્રો પહેરતા નારાયણસામીએ ધરણા કરતી વખતે કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમની સાથે સમગ્ર પ્રધાનમંડળ આ ધરણા પર છે. ધરણા પર બેસવા અગાઉ નારાયણ સામીએ કિરણ બેદીને કેટલીક ચિઠ્ઠી મોકલી હતી જેનો જવાબ કિરણ બેદીએ પણ ચિઠ્ઠી રૂપે આપ્યો હતો.
નારાયણ સામીએ મોકલેલી છેલ્લી ચિઠ્ઠી પર છ વાગ્યાનો સમય લખ્યો હતો જ્યારે કિરણ બેદીએ આપેલા જવાબની ચિઠ્ઠી પર દસ વાગ્યાનો સમય લખ્યો હતો. નારાયણસામીએ એવો આક્ષેપ કર્યો હતો કે મારી લોકપ્રિય સરકારને બદનામ કરવા લેફ્ટનંટ ગવર્નર ઇરાદાપૂર્વક અમારી લોકકલ્યાણની યોજનાઓ દબાવી બેઠાં છે.