લખીમપુરમાં મૃત ખેડૂતોની અરદાસમાં પ્રિયંકા ગાંધી સામેલ થયા, સિખ સંગઠનોનો વિરોધ, 1984ના તોફાનો યાદ અપાવ્યા
Updated: Oct 12th, 2021
નવી દિલ્હી,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર
લખીમપુર હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોની આજે યોજાયેલી અરદાસમાં કોંગ્રેસના નેતા અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સામલે થયા છે.
જોકે તેમને સીખ સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. પ્રિયંકા ગાંધીના રૂટ પર અડધો ડઝનથી વધારે સિખ સંગઠનોએ પોસ્ટરો અને બેનરો લગાવ્યા હતા.
જોકે આમ છતા પ્રિયંકા ગાંધી આ અરદાસમાં સામેલ થયા હતા અને મૃત ખેડૂતોને શ્રધ્ધાંજલી આપી હતી. દરમિયાન માઈનોરિટી કમિશનના સભ્ય પરવિન્દરસિંહે તેમના પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, પોતાની રાજનીતિ માટે પ્રિયંકા ગાંધી લખીમપુર પહોંચીને માહોલ ખરાબ કરી રહ્યા છે. 1984માં સિખો પર અત્યાચાર કરનાર કોંગ્રેસ કેવી રીતે સિખ ખેડૂતોની હિતેચ્છુ હોઈ શકે? માત્ર રાજનીતિ કરવાના હેતુથી તેઓ ત્યાં ગયા છે.
તેમણે કહ્યુ હતુ કે, અમને પ્રિયંકા ગાંધીની ખોટી સહાનુભૂતિની જરૂર નથી અને આ મામલામાં સરકારની કાર્યવાહી ચાલી રહી છે.
બીજી તરફ ગુરુ નાનક વાટિકા કમિટી નામના સંગઠનના અધ્યક્ષ સરકાર રવિન્દ્ર પાલ સિંહે કહ્યુ હતુ કે, જે પાર્ટીના હાથ સિખોના લોહીથી રંગાયેલા છે તે શું ન્યાય અપાવશે?. પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણ માટે લખીમપુર જઈને ત્યાં સમાજમાં ભાગલા પડાવવાનુ કામ કરી રહ્યા છે. તેઓ જ્યારે જ્યારે લખીમપુર જશે ત્યારે ત્યારે અમે તેમનો વિરોધ કરીશું.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસે ક્યારેય સાડા ચાર વર્ષમાં અમારો ભાવ પૂછ્યો નથી, હવે જયારે ચૂંટણી છે ત્યારે પ્રિયંકા ગાંધી લખીમપુર જઈ રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસે તેનો જવાબ આપતા કહ્યુ છે કે, પ્રિયંકા ગાંધી માનવીય સંવેદનાની વાત હોય ત્યારે રાજનીતિ નથી કરતા, તેઓ પહેલા પણ લખીમપુર ગયા હતા અને આજે અરદાસ માટે ગયા છે. ભાજપને દરેક વસ્તુમાં રાજકારણ દેખાય છે.