મી ટુ : પૂર્વ મંત્રી અકબરે કરેલા બદનક્ષીના કેસમાં પત્રકાર પ્રિયા રામાણીને જામીન
Updated: Feb 26th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર
પોતે પત્રકાર હતી ત્યારે તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો હતો તેવા પ્રિયા રમાણીએ કરેલા આક્ષેપ પછી કેન્દ્રના પૂર્વ મંત્રી એમ.જે. અકબરે કરેલા બદનકશીના કેસમાં સાક્ષી તરીકે બોલાવવામાં આવેલી પ્રિયા રામાણીને અત્રેની કોર્ટે જામીન આપ્યા હતા.અધિક ચીફ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ સમર વિશાલે રૃ. દસ હજારના અંગત બોન્ડ અને એટલી જ રકમની શ્યોરિટી પર જામીન આપ્યા હતા.
રામાણી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રેબેક્કા જોને કોર્ટને કહ્યું હતું કે અવમાનના કેસમાં જામીન મળી શકે છે માટે મારી અસીલને જામીન મળવા જોઇએ.કેસમાં અંગત રીતે હાજર રહેવામાંથી મૂક્તિ માટે પણ રામાણીએ અરજી કરી હતી જેનો અકબરના વકીલે વિરોધ કર્યો હતો. કેસની આગામી સુનાવણી વખતે દસમી એપ્રિલ પહેલાં જવાબ આપવા કોર્ટે ફરીયાદી અકબરને કહ્યું હતું.
' મારા કેસની હવે પછીની તારીખ દસ એપ્રિલ છે. મારી વાત કહેવાનો વારો આવ્યો છે.સચ્ચાઇ જ મારો બચાવ છે'એમ રામાણીએ પત્રકારોને કહ્યું હતું.અકબર સામે કરવામાં આવેલા આક્ષેપો પ્રથમ દ્રષ્ટીએ બદનકશી ભરેલા હોવાની નોંધ કરીને કોર્ટે અગાઉ રામાણીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. એકબરે તેમની સામે કરાયેલા તમામ કેસ પાયાવિહોણા અને કાલ્પનિક ગણાવ્યા હતા.
વીસ વર્ષ પહેંલા પ્રિયા રામાણી પત્રકાર હતી ત્યારે અકબરે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને શારીરીક છેડતી પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. અકબરે તમામ આરોપો નકાર્યા હતા. ગયા વર્ષે ભારતમાં મી ટુ ઝુંબેશ શરૃ થઇ ત્યારે અકબરનું નામ પણ તેમાં ઉછળ્યું હતું. પરિણામે ૧૭ ઓકટોબરે અકબરે મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી તેમણે રામાણી સામે બદનકશીનો કેસ કર્યો હતો.