દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલનું વડા પ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ
- ૨૫૯૪૨ શહીદનાં નામ સુવર્ણ અક્ષરોએ લખાયાં
- મનમોહનની ગુનાઇત બેદરકારીથી દેશની સલામતી જોખમાઇ : મોદી
Updated: Feb 26th, 2019
સૈન્યના જવાનો માટે ત્રણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો બનાવવાની પણ મોદીની જાહેરાત
નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. જે દરમિયાન કોંગ્રેસ પર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯માં સૈન્યએ એક લાખ ૮૬ હજાર પુલેટ પ્રૂફ જેકેટની માગણી કરી હતી. ૨૦૦૯થી ૨૦૧૪ સુધીમાં પાંચ વર્ષ વીતી ગયા જોકે તેમ છતા સરકારે બુલેટ પ્રુફ જેકેટ ન ખરીદ્યું.
દરમિયાન મોદીએ સૈન્ય માટે ત્રણ સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલોની પણ જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માગ થઇ રહી હતી, અમે આવી એક નહીં પણ ત્રણ હોસ્પિટલો બનાવવા જઇ રહ્યા છીએ.
અગાઉની સરકારો પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું હતું કે સૈન્ય અને દેશની સુરક્ષાને તેઓએ માત્ર પોતાની કમાણીનું સાધન બનાવી દીધુ છે. કેમ કે કદાચ તેમને શહીદોને યાદ કરીને કઇ મળી નહોતુ રહ્યું.
બોફોર્સથી લઇને હેલિકોપ્ટર સુધીની દરેક તપાસ એક જ પરિવાર સુધી પહોંચી છે. જે ઘણુબધુ કહી જાય છે. હવે આ જ લોકો પુરી તાકાત લગાવી રહ્યા છે કે જેથી ભારતમાં રફાલ વિમાન ન આવે. મનમોહનસિંહની ગુનાઇત બેદરકારીથી દેશની સલામતી જોખમાઇ છે તેવો આરોપ પણ લગાવ્યો હતો.
દરમિયાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ ખુલ્લુ મુક્યું હતું. આ યુદ્ધ સ્મારક બનાવવા પાછળ ૧૭૬ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આવેલા આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં કુલ ૨૫૯૪૨ શહીદ જવાનોના નામ પણ લખવામાં આવ્યા છે.
ખાસ કરીને જે જવાનો ૧૯૪૭, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ ઉપરાંત શ્રીલંકામાં શાંતિ માટે મોકલાયેલા જવાનો અને ૧૯૯૯ના કારગીલ યુદ્ધના શહીદોનો પણ સમાવેશ આ સ્મારકમાં કરવામા આવ્યો છે. જોકે આ જ પ્રકારનું સ્મારક ૧૯૭૧ના શહીદ જવાનો માટે અમર જવાન જ્યોત તરીકે બનાવવામાં આવ્યું છે.
આ સ્મારક હાલ છે ત્યાં જ રહેશે જ્યારે મોદી સરકારે વધુ એક નવુ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું છે. જેમાં દરેક યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોના નામનો સમાવેશ કરાયો છે. દરમિયાન સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે હવે દેશમાં વધુ એક રાષ્ટ્રીય સ્મારક બની ગયું છે.
ઇન્ડિયા ગેટ પણ એક પ્રકારનું યુદ્ધ સ્મારક જ છે જે બ્રિટિશ શાસનમાં બનાવવામાં આવ્યું હતું. જેમાં પહેલુ વિશ્વ યુદ્ધ અને ત્રીજુ આંગ્લો-અફઘાન યુદ્ધમાં શહીદ જવાનોની યાદમાં બનાવાયું હતું.