વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવી આશા: મુલાયમ સિંહ યાદવ
- સદનના સમાપન ભાષણમાં વિવાદિત નિવેદન
- મુલાયમના નિવેદન સાથે અસંમત, તેમની રાજકારણમાં કોઇ ભૂમિકા નહીં: રાહુલ ગાંધી
Updated: Feb 13th, 2019
- સપાના વડા અખિલેશ યાદવે પ્રતિભાવ આપવાનું ટાળ્યું
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2019, બુધવાર
સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે લોકસભામાં મોટું નિવેદન કર્યું હતું. પોતાના સમાપન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હાથ જોડયા હતા અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેમ તેઓ ઈચ્છે છે.
વડાપ્રધાને પણ સામે હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સંસદમાં હાસ્ય અને તાળીઓનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુલાયમસિંહ યાદવ બોલી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં યુપીએના વડાં સોનિયા ગાંધી બેઠા હતા. મુલાયમસિંહે વધુ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ બધાને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળ થયા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વાતમાં સંમત નથી અને ઉમેર્યું હતું કે મુલાયમસિંહ યાદવની હવે રાજકારણમાં કોઇ ભૂમિકા નથી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મુલાયમસિંહે આશીર્વાદ આપ્યા છે તે સ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે મુલાયમસિંહના નિવેદન મુદ્દે સપાના વડા અખિલેશ યાદવે કોઇ પ્રતિભાવ આપ્યો નહોતો. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે મુલાયમસિંહનું નિવેદન કોંગ્રેસને લાભ કરાવશે.