વડાપ્રધાન મોદીએ કુંભમાં પવિત્ર સ્નાન કર્યું, સફાઇ કર્મચારીઓના પગ ધોયા
- લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલો કુંભ મેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો
- યોગી આદિત્યનાથ પણ જોડાયા, પગ ધોયા બાદ મોદીએ સફાઇકર્મીઓને શાલ ઓઢાડી સન્માનિત કર્યા
Updated: Feb 24th, 2019
પ્રયાગરાજ, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર
નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં જઇને ગંગામાં ડુબકી લગાવી હતી, આ ઉપરાંત અહીં સફાઇ કર્મચારીઓના પગ પણ ધોયા હતા. નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ મોદીની સાથે ગંગામાં શાહી સ્નાન કર્યું હતું.
જોકે સેનિટેસન વર્કરના પગ ધોયે તે સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું. મોદીએ સફાઇકર્મચારીઓને કર્મયોગી કહ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે ૨૦ હજાર કચરા પેટી અને એક લાખ ટોઇલેટ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે કેટલુ મુશ્કેલીભર્યું કામ આ લોકો કરી રહ્યા છે.
મોદીએ જણાવ્યું હતું કે સફાઇકર્મચારીઓ મારા ભાઇઓ અને બહેનો છે કે જેઓ વહેલી સવારે જાગે છે અને મોડે સુધી કામ કરે છે અને મોડી રાત્રે સુવે છે. તેઓનો હેતુ માત્ર પોતાના વિસ્તારને સાફ રાખવાનો છે. તેઓને પોતાના આ કામના વખાણ થાય તેવી પણ ઇચ્છા નથી. તેમના ચરણો ધોયા તે ક્ષણ હંમેશા મારી સાથે રહેશે તેમ મોદીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ગોરખપુરમાં મોદીએ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવાની યોજનાને ખુલ્લી મુકી તે બાદ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી.
જ્યાં કુંભ મેળામાં તેમણે પવિત્ર સ્નાન કર્યું હતું સાથે અહીંના સફાઇકર્મચારીઓના પગ પણ ધોયા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. આરોપ છે કે એટ્રોસિટી કાયદો અને દલિતો પર અત્યાચારને કારણે દલિતો વર્તમાન કેન્દ્ર સરકારથી નારાજ છે, સાથે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે સરકાર દલિતોને અપાયેલી અનામત પણ હવે ધીરે ધીરે દુર કરવા માગે છે.
આ સ્થિતિ વચ્ચે સરકાર દલિતોને મનાવવાના પ્રયાસો કરી રહી છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં ડુબકી લગાવી સાથે વિધિ અનુસાર પુજાપાઠ પણ કર્યા હતા અને આરતી પણ ઉતારી હતી. ભગવા વસ્ત્રોમાં નરેન્દ્ર મોદીએ આ વીધી કરી હતી.