પુલવામા હુમલાની સૂચના મોડી મળવાથી ભારે નારાજ થયા હતા પીએમ મોદી
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી હુમલો થયો ત્યારે પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે હતા.પુલવામા હુમલા અંગે મોડી જાણકારી મળવા બદલ નરેન્દ્ર મોદી રોષે ભરાયા હતા.
કોંગ્રેસે પીએમ મોદી પર ગઈકાલે પુલવામા હુમલા બાદના ચાર કલાક સુધી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેવાના લગાવાયેલા આક્ષેપો બાદ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે પુલવામા હુમલાની પહેલી જાણકારી મળી ત્યારે પીએમ મોદી સાંજના લગભગ ચાર વાગ્યે જીમ કોર્બેટ પાર્કથી રુદ્રપુરના રસ્તા પર હતા.હુમલાની સૂચના આટલી મોડી આપવા બદલ તેઓ ભારે નારાજ થયા હતા.
એ પછી ચાર વાગ્યાથી 4.45 વાગ્યા સુધી તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક પછી એક બેઠક ચાલુ રાખી હતી.જેના કારણે રુદ્રપુરની રેલીમાં પણ વિલં થયો હતો.ભારે ભીડ હોવા છતા રેલીમાં નહી જવાનુ પીએમે નક્કી કર્યુ હતુ અને સાંજના 5-15 વાગ્યે તેમણે ફોન પર પાંચ મિનિટનુ સંબોધન કરીને પોતાની વાત પુરી કરી દીધી હતી.
એ પછી પીએમ મોદી સીધા બરેલી નીકળી ગયા હતા અને જ્યાંથી વિમાન માર્ગે દિલ્હી જવા નીકળી ગયા હતા.બરેલી જતા પહેલા ફરી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પીએમ મોદી રામનગરના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.તેમણે હુમલાની બીજી માહિતી મેળવી હતી.
અધિકારીનુ કહેવુ હતુ કે ઉત્તરાખંડ સરકાર તરફથી છેલ્લા ઘણા દિવસોથી માંગણી થઈ રહી હતી કે પીએમ મોદી કોર્બેટ પાર્કની મુલાકાત લે અને ટુરિઝમને પ્રમોટ કરે.14 ફેબ્રુઆરીના દિવસે આખરે પીએમ મોદીએ કોર્બેટ પાર્કમાં 3 પ્રોજેક્ટ લોન્ચ કરવાનુ એલાન કર્યુ હતુ.એ પછી તેમણે ટુરિઝમ પ્રમોશન અને ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે એક નાના શૂટિંગમાં ભાગ લીધો હતો.