પ્રિયંકા ગાંધી છે કોણ કે જેમને સીએમ ચન્નીએ પીએમની સુરક્ષા અંગે બ્રિફિંગ આપ્યુ? ભાજપના પ્રવક્તા ભડકયા
Updated: Jan 9th, 2022
નવી દિલ્હી, તા. 9. જાન્યુઆરી 2022 રવિવાર
પંજાબની મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના મામલામાં મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્નીએ કહ્યુ છે કે, પીએમ મોદીને પંજાબમાં કોઈ ખતરો નહોતો.તેઓ અહીંયા સુરક્ષિત હતા અને આ મામલામાં મેં પ્રિયંકા ગાંધીને બ્રિફ કર્યા છે.
જોકે ચન્નીના આ નિવેદન પર ભાજપ ભડકી ઉઠી છે.ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, બહુ કમનસીબ વાત છે કે પીએમની સુરક્ષાના મામલામાં સીએમ પ્રિયંકા ગાંધીને બ્રિફ કરે છે.
સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, પીએમની સિક્યુરિટી જેવા સંવેદનશીલ મુદ્દા પર પ્રિયંકા ગાંધીને બ્રિફ કેમ કરવામાં આવ્યા...પ્રિયંકા ગાંધી કોઈ બંધારણીય હોદ્દા પર છે કે તેમને બ્રિફ કરવામાં આવ્યા..પ્રિયંકા ગાંધી છે કોણ કે પીએમની સિક્યુરીટી માટે તેમની સાથે વાત કરવામાં આવે...
પાત્રાએ આગળ કહ્યુ હતુ કે, ચન્નીએ પ્રિયંકા ગાંધીને ચોક્કસ કહ્યુ હશે કે , કામ થઈ ગયુ છે , તમે જે કહ્યુ હતુ તે પ્રમાણે જ કામ થયુ છે.કયા નિયમ હેઠળ મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધીને બ્રિફ કર્યા તે સ્પષ્ટ થયુ નથી.
દરમિયાન એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સીએમ ચન્નીએ કહ્યુ હતુ કે, પીએમ મોટે હું પણ મહામૃત્યુંજય જાપ કરવવા માટે તૈયાર છું.પીએમની સુરક્ષામાં કોઈ ચુક નથી થઈ.પંજાબને બદનામ કરનારાઓને પીછેહઠ કરવી પડી છે.