ઉત્તર પ્રદેશમાં વિસ્ફોટથી ત્રણ મકાનો પડી જતાં 13 જણાના મોત, છ ઘાયલ
-પડી ગયેલા મકાનોમાં કાપરેટર ફેકટરીના કામદારો દબાયા હોવાની આશંકા
Updated: Feb 23rd, 2019
(પીટીઆઇ) ભડોલી,તા.23 ફેબ્રૂઆરી 2019,શનિવાર
એક દુકાનમાં આજે બપોરે વિસ્ફોટ થવાના કારણે પાસેના ત્રણ મકાનો પડી જતાં ઓછામાં ઓછા ૧૩ જણા માર્યા ગયા હતા અને છ જણાને ઇજા થઇ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવા જોઇએ. ફસાયેલા લોકોને બચાવ કામગીરી શરૃ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.દુર્ઘટનામાં માર્યા ગયેલાઓ પ્રત્યે મુખ્ય મંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યો હતો અને ઘાયલ થયેલાઓની યોગ્ય સારવાર કરવા આદેશ આપ્યો હતો.
રોહતા બજારમાં કાલિયાર મન્સુરી દ્વારા સંચાલીત એક દુકાનમાં વિસ્ફોટ થયો હતો. દુકાનની પાછળ તેમનો પુત્ર કારપેટ બનાવવાની ફેકટરી ચલાવે છે અને એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ત્યાં કામ કરતાં કામદારો કટમાળમાં ફસાયા હોવા જોઇએ, એમ જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું. સ્થાનિકો એ કહ્યું હતું કે આ લોકો ગેરકાયદે ફટાકડા પણ બનાવતા હતા.અગાઉ માર્યા ગયેલાઓની ઓળખી કાઢવામાં આવ્યા હતા.
પરંતુ તમામની ઓળખ કરવાની બાકી હતી, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.રાહત અને બચાવની કામગીરી કરવા મોટા વાહનો અને સાધનોની મદદ લેવામાં આવી હતી.
ઘટના સ્થળે ફોરેન્સિક નિષ્ણાતો, એનડીઆરએફ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ અધિકારી રાજેશ એસ. એ કહ્યું હતું કે ચૌરી પોલીસ સ્ટેશનના અજય કુમાર સિંહ અને પોલીસ ચોકી ઇનચાર્જ પ્રમોદ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.