પુલવામા હુમલામાં અમારો હાથ નથી નફ્ફટ પાકિસ્તાનનું હળાહળ જુઠાણું
Updated: Feb 15th, 2019
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો વિશ્વ સમક્ષ વધુ એક વખત પર્દાફાશ થયો હોવા છતાં પાકિસ્તાનને પાંગળો બચાવ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં થઈ રહેલા આતંકવાદી હુમલા ગંભીર ચિંતાનો વિષય છે, પરંતુ એમાં પાકિસ્તાનની કોઈ જ ભૂમિકા નથી.
જગતભરમાં આતંકવાદીઓને છાવરતા દેશ તરીકે ખૂલ્લા પડી ગયેલા પાકિસ્તાને ઈમેજ બચાવવાના હવાતિયા મારતા કહ્યું હતું કે પાકિસ્તાન ઉપર જે આરોપો મૂકાઈ રહ્યા છે તેમાં કોઈ જ તથ્ય નથી અને તપાસ કર્યા વગર મૂકાયા આરોપો પાયાવિહોણા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એની જાહેરાત આતંકી સંગઠને ખુદ કરી હતી. આ સંગઠનના નાપાક આતંકી વડા મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ મૂકવાની ભારતે યુએનમાં માગણી કરી તે પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પાંગળો બચાવ કર્યો હતો.