રાજસ્થાન સરહદે ભારતીય ખેડૂતો પર પાકિસ્તાનનો ગોળીબાર, કોઇ જાનહાની નહીં
-કાશ્મીર બાદ હવે રાજસ્થાન સરહદે પણ પાક.નો આતંક
-સરહદે ખેડૂતો ખેતરોમાં કામ કરી રહ્યા હતા ત્યારે જ ગોળીબાર કર્યો, બીએસએફના જવાનોએ ખેડૂતોને બચાવી લીધા
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી, તા.23 ફેબ્રુઆરી 2019,શનિવાર
પાકિસ્તાન કાશ્મીર બાદ હવે રાજસ્થાન સરહદે પણ ગોળીબાર કરી રહ્યું છે. શનિવારે રાજસ્થાન જિલ્લાના ગંગાનગર જિલ્લામાં સરહદ પારથી પાકિસ્તાની સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અહીં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો પર પાકિસ્તાને આ ગોળીબાર કર્યો હતો. જોકે બાદમાં ભારતીય સૈન્યએ આ ખેડૂતોને સુરક્ષી ખેતરોમાંથી બહાર કાઢી લીધા હતા. જેને પગલે કોઇ જાનહાની નહોતી સર્જાઇ.
ખેડૂતો આંતરરાષ્ટ્રીય સરહદે તારબંધીની સામે બાજુ ખેતરોમાં કામ કરી રહ્યા હતા, જેને પાકિસ્તાની સૈન્યએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે બીએસએફના જવાનોએ આ ખેડૂતોને સુરક્ષીત રીતે બહાર કાઢી લીધા હતા.
આ ઘટનાની જાણકારી મળતા જ બીએસએફના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિની તપાસ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ થઇ ગઇ છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સવારે આશરે ૧૧ વાગ્યે હિન્દુમલકોટ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદે ખેડૂત હરદેવસિંહ પોતાના મજૂરોની સાથે ખેતરોમાં કામ કરી રહ્યા હતા. જ્યાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યાં જ આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
જોકે ખેડૂતો તાત્કાલીક જમીન પર સુઇ ગયા હતા. જેને પગલે જોનહાની ટળી હતી. હાલની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા પેટ્રોલિંગ માટે આવેલા વાહનમાંથી આ ગોળીબાર થયો હોઇ શકે છે.
હાલ ખેડૂતોને સુરક્ષી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને પાકિસ્તાની જવાનો પર નજર રાખવામાં આવી રહી છે. સાથે રાજોરીમાં પણ પાકિસ્તાન સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને શસ્ત્ર વિરામનો ભંગ કરીને નોશેરા સેક્ટરમાં અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
અહીંના ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવી આ ગોળીબાર કરાયો હતો. બીજી તરફ એલઓસી પર આશરે ૨૭ જેટલા ગામડાઓને ખાલી કરવામાં આવી રહ્યા છે. થોડા સમય માટે જ આ ગામોને ખાલી કરવામાં આવી રહ્યા છે અને અહીંના નાગરીકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ગામડા ખાલી કરવા માટે તૈયાર રહે.