ભારે રોષ વચ્ચે શૂટિંગ વર્લ્ડ કપ માટે પાકના ખેલાડીઓને ભારતના વિઝા અપાયા
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર
પુલવામાના આતંકવાદી હુમલા બાદ તમામ ક્ષેત્રમાં તમામ સ્તરે પાકિસ્તાનના બહિષ્કારના માહોલ વચ્ચે ભારતમાં યોજાનારા શૂટિંગ વર્લ્ડ કપ માટે પાકિસ્તાની શૂટર્સને ભારત સરકારે વિઝા આપ્યા છે.
ભારતના નેશનલ રાયફલ એસોસિએશનના સચિવ રાજીવ ભાટીયાએ કહ્યુ હતુ કે પાકિસ્તાનના શૂટર બશીર અને ખલીલ અહેમદ રેપિડ ફાયર કેટેગરીમાં ભાગ લેશે.મેં પાકિસ્તાનના રાયફળ એસોસિએશન સાથે વાત કરી છે.તેમણે પોતાના ખેલાડીઓને વિઝા મળ્યા હોવાનુ કહ્યુ છે.તેમની ટિકિટ વહેલી તકે બૂક થશે.
ભારતમાં રમાનારો વર્લ્ડ કપ 2020માં રમનારી ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવા માટે મહત્વનો છે.વર્લ્ડ કપ થકી 16 ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે.આવતીકાલથી દિલ્હીમાં તેનો પ્રારંભ થઈ રહ્યો છે.
પુલવામા હુમલા બાદ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખેલાડીઓના ભાગ લેવા પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.પાકિસ્તાને કહ્યુ હતુ કે જો આજે સાંજ સુધી ખેલાડીઓને વિઝા નહી મળે તો તેઓ વર્લ્ડ કપમાં ભાગ નહી લે. સરકારે આ ખેલાડીઓને વિઝા માટે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પહેલા જ મંજૂરી આપી દીધી હતી.
વર્લ્ડકપમાં 58 દેશોના 503 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.જેમાં ભારત તરફથી 23 ખેલાડીઓ ઉતરશે.