ભારતના હુમલાના ડરથી પાકિસ્તાનમાં ફફડાટઃ યુદ્ધની તૈયારી શરૂ કરી
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા દબાણ અને ભારતની વળતી કાર્યવાહીના ડરથી પાકિસ્તાને પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે નેશનલ સિક્યોરિટી કમિટી સાથે બેઠક યોજીને પાકિસ્તાની સેનાને ભારતના હુમલા સામે તૈયાર રહેવા જણાવ્યું હતું.
પાકિસ્તાન એટલું ગભરાઇ ગયું છે કે તેણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને નિયંત્રણ રેખા પાસેના ગામોમાં લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. આ માટે ખાસ એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. એ સાથે જ પીઓકેમાં સ્થાનિક પ્રશાસને હોસ્પિટલોને નોટિસ મોકલી છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો એ સંજોગોમાં હોસ્પિટલોને મદદ માટે તૈયાર રાખે.
પાકિસ્તાને નિયંત્રણ રેખા પાસે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે અને જૂથમાં ન રહેવાની સલાહ આપી છે. એ સાથે જ નિયંત્રણ રેખા પાસે કારણ વિના ન જવાની તેમજ રાત્રે જરૂર હોય તો જ લાઇટ ચાલુ કરવાની સૂચના પણ આપી છે. એ સાથે જ એલઓસી પાસે રહેતા લોકોને બંકર બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.