પૂંચ સેક્ટરમાં પાકિસ્તાનનો ફરી ગોળીબાર, ભારતીય સૈન્યનો પણ આક્રમક જવાબ
- આતંકીઓને ઘૂસાડવાનો પાકિસ્તાનનો વધુ એક પ્રયાસ
- પુલવામા હુમલા બાદ બંધ કરાયેલી ભારત પાકિસ્તાન વચ્ચેની બસ સેવા ફરી શરૃ કરાઇ
Updated: Feb 25th, 2019
શ્રીનગર, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર
પાકિસ્તાન સૈન્યનો આતંક સરહદે યથાવત છે, અહીંના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન સૈન્યએ ગોળીબાર કર્યો હતો. રવિવારે સાંજે પણ પાકિસ્તાન સૈન્યએ સાંજે ગોળીબાર કરીને ભારતીય સૈન્યને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સતત બીજા દિવસે શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો.
ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. ૨૦૧૮માં પાકિસ્તાન દ્વારા સૌથી વધુ વખત સરહદે ગોળીબાર કરવામાં આવ્યો છે. આતંકીઓને ઘુસાડવા માટે જ પાકિસ્તાન સરહદે ગોળીબાર કરી રહ્યું છે.
બીજી તરફ પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી, જે હવે ફરી શરૃ થઇ ગઇ છે. જે પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો ત્યાંથી પીઓકે સુધી આ બસ સેવા ચાલી રહી છે, જેને એક સપ્તાહના વિરામ બાદ ફરી શરુ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે ૧૩ જેટલા મુસાફરોએ સરહદ પાર કરી હતી. આ બસ સેવા ૨૦૦૫માં શરૃ કરવામાં આવી હતી. જેને ધ કારવાએ અમન નામ આપવામાં આવ્યું છે. પીઓકેના નાગરીકો પોતાના અન્ય કાશ્મીરીઓને મળી શકે તે હેતુથી આ બસ સેવા શરૃ કરવામાં આવી છે.