ગભરાયેલા પાક વડાપ્રધાન ઘૂંટણીયેઃ 'શાંતિની એક તક આપે PM મોદી'
Updated: Feb 25th, 2019
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
પુલવામા હુમલા બાદ ભારતના આકરા તેવરને લઇને ગભરાયેલા પાકિસ્તાને હવે શાંતિનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિ લાવવાની અપીલ કરી અને કહ્યું કે હું ખાતરી આપું છું કે જો ભારત પુલવામા હુમલાના પુરાવા આપશે તો અમે તુરંત કાર્યવાહી કરીશું.
ઇમરાન ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM મોદીએ કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ પૂરી દુનિયામાં સહમતિ છે. આતંકવાદના દોષિતોને દંડિત કરવાની દિશામાં અમે મજબૂતીથી આગળ વધી રહ્યાં છીએ. વડાપ્રધાન ચેતવણી ઉચ્ચારી છે કે આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, આ દર્દને સહન નહીં કરવામાં આવે. અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડવાનો છે.
આ પહેલા પણ ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પુલવામા હુમલાના દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરશે. જો ભારત કાર્યવાહી કરવા યોગ્ય માહિતી અમને આપશે તો પાકિસ્તાન ચોક્કસ કાર્યવાહી કરશે પરંતુ ભારતે પાકિસ્તાનની પુરાવા રજૂ કરવાની વાતને બહાનું ગણાવી હતી.