રાજસ્થાનમાં દારૂની દુકાન આઠ વાગ્યા પછી ખુલ્લી રહેશે તો અધિકારીઓ સસ્પેન્ડ થશે, ગેહલોત સરકારનો નિર્ણય
માફિયાની સામે કડક પગલાં ભરવા SPને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યાં
Updated: Dec 10th, 2022
જયપુર, 9 ડિસેમ્બર 2022, શુક્રવાર
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને કોંગ્રેસ કારમા પરાજય પછી મંથનમાં લાગી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર રહેલા અશોક ગેહલોતે હવે રાજસ્થાનની કમાન હાથમાં લઈ લીધી છે. તેમણે પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે નિર્ણય લીધો હતો કે રાજસ્થાનમાં દારૂની દુકાન આઠ વાગ્યા પછી ખુલ્લી રહેશો તો અધિકારીઓ સસ્પેન્ડ થશે.રાજસ્થાન સરકાર ભૂમાફિયાઓ સહિત અન્ય માફિયાઓની સામે કડક રહેવા નિયમોમાં થોડા પરિવર્તનો લાવી રહી છે.
પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે, હવે જો 8 વાગ્યા પછી પણ દારૂની દુકાનો પર વેચાણ થશે તો તે પોલીસ સહિતના અધિકારીઓની જવાબદારી રહેશે તથા ઓવરઓલ જવાબદારી SPની રહેશે. તેમણે આ બેઠકમાં કહ્યું હતું કે, રાજ્યમાં માફિયાઓનો પ્રભાવ વધી રહ્યો છે જેના કારણે જનતા હેરાન થાય છે. જમીનોનાં કેસો વધી રહ્યાં છે, ભૂ-માફિયા, દારૂ માફિયા, કાંકરી માફિયાની સામે કડક પગલાં ભરવા SPને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યાં છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં 50 હજાર ફરિયાદો આવે છે કેસ નોંધાય છે અને કેટલાય લોકો દુ:ખી થાય છે. જમીન મામલા માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે, આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. કમિટીમાં યૂડીએચ, એલએસજી અને પોલીસ મળીને સૂચનો આપશે. ત્યાર બાદ રિપોર્ટનાં આધારે કાર્યવાહી કરવામાં આવશે.