કોરોનાના નવા વેરિએન્ટ AY.4ની ભારતમાં એન્ટ્રી, રસીના ડબલ ડોઝ લીધા હોવા છતા 6 લોકો સંક્રમિત
Updated: Oct 26th, 2021
નવી દિલ્હી,તા.26 ઓકટોબર 2021,મંગળવાર
કોરોનાની બીજી લહેરનુ ભારતમાં જોર ઓછુ થઈ ગયુ છે. રસીકરણના વ્યાપના કારણે પણ કોરોનાનુ સંક્રમણ ઓછુ ફેલાઈ રહ્યુ છે.
જોકે ભારત માટે ચિંતાની વાત એ છે કે, તહેવારોના કારણે બજારોમાં વધી રહેલી ભીડ વચ્ચે બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના નવુ સ્વરૂપ AY.4 ની ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં તેનાથી 6 દર્દીઓ સંક્રમિત થયા છે.
તંત્રનુ કહેવુ છે કે, આ તમામ દર્દીઓ રસીના બંને ડોઝ લઈ ચુકેલા છે. હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, AY.4 વેરિએન્ટ વધારે ખતરનાક છે?
જોકે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાનુ કહેવુ છે કે, હજી સુધી તો AY.4 વધારે ભયજનક હોવાના અને વધારે સંક્રમણ ફેલાવતો હોવાના પૂરાવા મળ્યા નથી અને આ નવુ વેરિએન્ટ પણ નથી.
જોકે તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યુ હતુ કે, કોરોના હજી ગયો નથી અને કોરોનાની ગાઈડલાઈનનુ લોકોએ પાવન કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, AY.4 ના સૌથી વધારે કેસ બ્રિટનમાં સામે આવ્યા છે. અમેરિકામાં પણ તેની અસર દેખાઈ રહી છે.