ભારતનો પાડોશી દેશ સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવી રહ્યો છે : વડાપ્રધાન મોદી
- સાઉદીના અખબાર ઓકાઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પાક.ને આડેહાથ લીધુ
- આતંકીઓેને મળતા ફંડ અટકાવવા સમગ્ર વિશ્વના દેશોએ નક્કર પગલાં લેવાની જરુર
Updated: Feb 20th, 2019
સાઉદી અરેબિયા અને ભારત મળીને વિશ્વને શાંતિનો સંદેશો આપશે
રિયાદ, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન પાકિસ્તાન બાદ ભારતની મુલાકાતે છે, મોદી અને ક્રાઉન પ્રિન્સની મુલાકાત વચ્ચે મોદીનો એક ઇન્ટરવ્યૂ સાઉદી અરેબિયાના અખબારમાં છપાયો છે. સાઉદીના ઓકાઝ નામના અખબારમાં અરેબિક ભાષામાં છપાયેલો આ ઇન્ટરવ્યૂમાં મોદીએ આતંકવાદ મુદ્દે ભારતની શું સ્થિતિ છે તેના વિશે વાત કરી હતી.
જેમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે આતંકવાદને કોઇ પણ દેશ સમર્થન ન કરે. પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ આ પ્રહારો કર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદનો ભોગ બન્યો છે અને તેની સામે લડવા માટે પણ તૈયાર છે. મોદીએ ઇન્ટરવ્યૂમાં સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના સંબંધોની વાત પણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં શાંતિ અને એક્તા માટે ભારત અને સાઉદી અરેબિયા બન્ને મળીને કામ કરશે. ૨૦૧૬માં મારી રીયાદની મુલાકાત દરમિયાન પણ બન્ને દેશો વચ્ચે કરારો થયા હતા, જે બાદ સાઉદીએ કરોડો રૃપિયાનું રોકાણ ભારતમા કર્યું છે, સાઉદીની આ પહેલનું અમે સ્વાગત કરીએ છીએ. સાઉદી અરેબિયા અને ભારતના સંબંધો શાંતિ, સુરક્ષા લાવશે અને આતંકવાદ સામે લડવામાં પણ મદદરુપ થશે.
આતંકવાદ સામે લડવાની નીતી ઘડવા માટે બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો પણ એકબીજાના સંપર્કમાં રહેશે તેમ મોદીએ જણાવ્યું હતું. મોદીનો આ ઇન્ટરવ્યૂ સાઉદી અરેબિયાના અખબારોમાં પણ પ્રકાશીત થયો હતો.
મોદીએ આ ઇન્ટરવ્યૂ સાઉદીના સ્થાનિક અખબાર ઓકાઝને આપ્યો હતો જે સ્થાનિક ભાષામાં પ્રકાશીત થયો છે. દરમિયાન મોદીએ પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને આતંકવાદ સામેની લડાઇનો ઉલ્લેખ આ ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.