MPમાં ગૂંડારાજઃ છ વર્ષના જોડિયા બાળકોની અપહરણ બાદ હત્યાથી હાહાકાર
Updated: Feb 24th, 2019
ભોપાલ, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉઠ્યા છે.
ચિત્રકૂટના એક વેપારી બ્રિજેશ રાવતના બે જોડીયા સંતાનો દેવાંશ અને પ્રિયાંશનુ અપહરણ કરીને હત્યા કરી નાંખવામાં આવી છે.જેના પગલે આખા રાજ્યમાં ભારે આક્રોશ છે.બંને બાળકોની વય 6 વર્ષની હતી.
ગત 12 ફેબ્રુઆરીએ દેવાશં અને પ્રિયાશંનુ સ્કૂલ બસમાંથી અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ.એ પછી તેમના મૃતદેહો ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની નદીમાંથી મળ્યા છે.પોલીસના કહેવા પ્રમાણે બાળકો રોજ બસમાં ચાર કિમીની સફર કરીને સ્કૂલે જતા હતા.પોલીસને આશંકા છે કે બાળકોના અપહરણ પાછળ તેમના પિતાની અંગત દુશ્મનાવટ પણ જવાબદાર હોઈ શકે છે. બ્રિજેશ રાવત તેલના વેપારી છે.
પોલીસ જોકે અપહરણ કરનાર ગેંગનો હાથ હોવાની શંકાથી પણ ઈનકાર કરી રહી નથી.પોલીસને અપહરણ કરીને ખંડણી માંગતી નામચીન બબુલ કોલ ગેંગ પર શંકા છે.
બસના સીસીટીવી પરથી ખબર પડી હતી કે ભગવા રંગની બુકાની પહેરનારા લોકોએ બાળકનુ અપહરણ કર્યુ હતુ.
દરમિયાન બાળકોના મૃતદેહ મળ્યા બાદ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે.