મોદી સરકારની આર્થિક નીતિઓના ચીને કર્યા આ રીતે વખાણ
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર
મોદી સરકારના નોટબંધી અને જીએસટી સહિતના આર્થિક નિર્ણયોની ભલે છાશવારે કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો ટીકા કરતા હોય પણ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે મોદીની આર્થિક નીતિઓના ભરપૂર વખાણ કરતો લેખ પ્રકાશિત કર્યો છે.
લેખમાં કહેવામાં આવ્યુ છે કે મોદી સરકારના શાસનકાળમાં ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો છે.2018માં ભારતમાં 38 અબજ ડોલરનુ વિદેશી રોકાણ થયુ છે.જોકે આ આંકડો બે દાયકા પહેલા પહેલી વખત ચીનમાં થયેલા વિદેશી રોકાણથી વધારે છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે આ જ રણનીતિ ચીને વર્ષો અગાઉ પોતાના દરવાજા વિદેશી કંપનીઓ માટે ખોલ્યા ત્યારે અપનાવી હતી.ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા રોજગાર મુદ્દે પીએમ મોદીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે પણ વિદેશી રોકાણના આંકડાથી લાગી રહ્યુ છે કે સરકારે બેકારી દુર કરવા માટે યોગ્ય પગલા ભર્યા છે.
ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વૈશ્વિક રેન્કિંગમાં ભારતનુ રેન્કિંગ સુધર્યુ છે.જેનાથી સાબિત થઈ રહ્યુ છે કે ભારતના આર્થિક સુધારા વિદેશી રોકાણ માટે અનુકુળ છે.
ઉલ્લેખનીય છે કે ભારતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં છળાંગ લગાવીને 190 દેશોમાં 77મા ક્રમે પહોંચી ચુક્યુ છે.
ગ્લોબલ ટાઈમ્સના લેખમાં સરકારની નવી ટેક્સ સિસ્ટમ, જીએસટીમાં સુધારા, બેંકરપ્સીનો કાયદો કડક બનાવવાના નિર્ણયોના પણ વખાણ કરવામાં આવ્યા છે.
ગ્લોબલ ટાઈમ્સે આ અગાઉ પણ પ્રકાશિત કરેલા અહેવાલમાં કહ્યુ હતુ કે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરનો ભારતને ફાયદો મલી રહ્યો છે.ભારતની પ્રોડક્ટસની ચીનમાં થતી નિકાસ વધીને 12.7 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.