મોદી સરકારના આક્રમક તેવર, વધુ 18 ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઈ
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર
પુલવામા હુમલા બાદ મોદી સરકારે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને બરાબરનો પાઠ ભણાવવાનુ નક્કી કર્યુ છે.જેના ભાગરુપે હુરિયતના બીજા 18 નેતાઓની સરકારી સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે.
આ પહેલા સરકારે ચાર નેતાઓની સુરક્ષા પાછી ખેંચી હતી પણ હવે બીજા 18 આગેવાનોની પણ સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય બાદ તમામ 22 નેતાઓ હવે સુરક્ષા કવચ વગરના થઈ ગયા છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ મોદી સરકાર આક્રમક બનીને ભાગલાવાદી નેતાઓને સબક શિખવાડી રહી છે.જે ચર્ચિત નેતાઓની સુરક્ષા પાછી લેવાઈ છે તેમાં એસ એ એસ ગિલાની, અગા સૈયદ મૌસવી, અબ્બાસ અંસારી, યાસિન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઈસ્લામ, જફર બટ્ટ, નઈમખાન, ફારુખ કિચલુ, અબ્દુલ ગની શાહ વગેરેનો સમાવેશ થાય છે.
મોદી સરકારના ઉપરોક્ત નિર્ણયના કારણે આ નેતાઓની સુરક્ષા માટે વપરાતા 100 વાહનો અને 1000થી વધારે પોલીસ કર્મીઓને હવે બીજી જવાબદારી સોંપવાનુ શક્ય બનશે.
આ પહેલા 17 ફેબ્રુઆરીએ સરકાર મીરવાઈઝ ઉમર ફારુક, પ્રોફેસર અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાસિમ કુરેશી અને શબીર અહેમદ શાહની સુરક્ષા પાછી ખેંચી હતી.
હુરિયતના અલગાવવાદી નેતાઓ જોકે હજી પણ તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે અમે તો ક્યારેય સરકાર પાસે સુરક્ષા માંગી નહોતી.સરકારે જાતે જ સિક્યુરિટી આપી હતી.અમે તો અગાઉ પણ કહ્યુ હતુ કે સિક્યુરિટી પાછી લઈ લેવામાં આવે.