મોદી સરકારે પાક.ની વસ્તુઓ પર 200 ટકા આયાત ડયૂટી નાખી
- આતંકવાદના આકા પાકિસ્તાનની આર્થિક રીતે કમર તોડવા ભારત સજ્જ
- ભારત પાકિસ્તાન પાસેથી મુખ્યત્વે સિમેન્ટ, ચામડુ, ફળોની આયાત કરે છે
Updated: Feb 16th, 2019
ભારતે તોતિંગ આયાત ડયૂટી નાખતા પાકિસ્તાનની વસ્તુઓ પર એક રીતે પ્રતિબંધ મુકાઇ જશે, પાકિસ્તાનને વર્ષે ૩૫૦૦ કરોડની ફટકાર
નવી દિલ્હી, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર
પાકિસ્તાનના આતંકી સંગઠનો હવે દિવસે ને દિવસે કાશ્મીરમાં હુમલા કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સૈન્યને તો એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાથે પાકિસ્તાનને આર્થિત રીતે પણ નબળો પાડવાની તૈયારી ભારતે કરી લીધી છે.
ભારતે પાકિસ્તાનથી આયાત થતી બધી જ વસ્તુઓ પરની આયાત ડયુટી ૨૦૦ ટકા વધારી દીધી છે. પરીણામે હવે ભારતના વ્યાપારીઓ અને ઉધ્યોગો પાકિસ્તાનથી આટલી મોંઘી વસ્તુઓની ખરીદી નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ શકે છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને મળેલા એમએફએન દરજ્જાને પણ પરત લઇ લીધો હતો.
પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખવામાં આવી હોવાથી પાકિસ્તાનને ભારતના આ પગલાથી આશરે ૩૫૦૦ કરોડની ફટકાર પડશે. ૨૦૧૭માં ભારતે પાકિસ્તાન પાસેથી ૩૪૮૨.૩ કરોડ રૃપિયાની વસ્તુઓ આયાત કરી હતી.
પાકિસ્તાનથી જે વસ્તુઓની સૌથી વધુ આયાત થાય છે તેમાં સિમેન્ટ, ફળ મુખ્ય છે. આ બન્ને પર હાલ કસ્ટમ ડયુટી ૩૦થી ૫૦ ટકા અને ૭.૫ ટકા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી લાદવી તેનો સીધો મતલબ એ છે કે પાકિસ્તાનની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવો.
આ ઉપરાંત ભારત હજુ પણ પાકિસ્તાનની આર્થીક રીતે કમર તોડવા માટે વધુ આકરા પગલા લઇ શકે છે, જેમ કે આગામી દિવસોમાં પોર્ટ સંલગ્ન પ્રતિબંધો પણ મુકવામાં આવશે. પાકિસ્તાન ભારતને જે મુખ્ય વસ્તુઓની નિકાસ કરે છે તેમાં ચામડુ, પેટ્રોલિયમ વસ્તુઓ, સિમેન્ટ, ફળ, મસાલા, રબરની વસ્તુઓ, મેડિકલના કેટલાક સાધનો, પ્લાસ્ટિકની વસ્તુઓ, સ્પોર્ટ્સ સંબંધી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ વસ્તુઓ પાકિસ્તાન પાસેથી ભારત ખરીદતુ આવ્યું છે, જોકે હવે ૨૦૦ ટકા આયાત ડયુટી ઝીંકીને એક રીતે આ વસ્તુઓ પર સીધી રીતે પ્રતિબંધ જ મુકી દેવામાં આવ્યો છે. જ્યારે ભારત પાકિસ્તાનને જે વસ્તુઓની નિકાલ કરે છે તેમાં મુખ્યત્વ કાચુ રું, રુની વસ્તુઓ, કેમિકલ્સ, પ્લાસ્ટિક્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ જ પ્રકારના પ્રતિબંધો અગાઉ અમેરિકાએ ચીન પર લાદ્યા હતા, જેને પગલે ચીનને આર્થીક રીતે પણ મોટો ફટકો પડયો હતો. તેવી જ રીતે હવે પાકિસ્તાનને પણ પાયમાલ કરવામાં આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપારમાં વૃધ્ધી થઇ રહી છે. અગાઉ જ્યારે ઉરીમાં આવો જ હુમલો થયો હતો ત્યારે પણ ભારતે પાકિસ્તાન તરફ જતુ પાણી વાળવાની તૈયારી કરી હતી અને હવે આર્થિક રીતે નબળુ પાડવામાં આવશે.