મોદી સરકારને મોટો ઝટકો, ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌરે કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ
Updated: Sep 17th, 2020
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
ખેતી સંબંધિત વટહુકમ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં સામેલ કેન્દ્રીય પ્રધાન અને અકાલી દળના નેતા હરસિમરત કૌરે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મહત્વનું છે કે, ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ વટહુકમનો વિરોધ કરી રહ્યું છે. ગુરૂવારે જ્યારે બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો તો શિરોમણી અકાલી દળના સાસંદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળના એકમાત્ર પ્રતિનિધિ હતા.હરસિમરત કૌરે ટ્વીટ દ્વારા રાજીનામાની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ખેડૂત વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં મેં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. ખેડૂતોની પુત્રી અને બહેન તરીકે તેમની સાથે ઉભા રહેવા માટેનો મને ગર્વ છે.
સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, શિરોમણી અકાલી દળના સભ્ય અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સરકારમાંથી રાજીનામુ આપશે. અમે આ નિર્ણય બિલના વિરોધમાં લીધો છે. સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. તેનાથી 20 લાખ ખેડૂતો પર અસર પડશે. આઝાદી બાદ દરેક રાજ્યએ પોતાની યોજના બનાવી. પંજાબની સરકારે છેલ્લા 50 વર્ષમાં ખેતીને લઈને ઘણા કામ કર્યાં છે.
અકાલી દળ ભાજપનો સૌથી જૂનો સાથી પક્ષ છે. સંસદંમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં રવનીતસિંહ બિટ્ટુએ શિરોમણી અકાલી દળની ચુટકી લેતા તેમણે રાજીનામાનાં પુરાવા માંગ્યા હતા કે હરસિમરત કૌર બાદલે આ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો તે બિલની વિરુદ્ધ રાજીનામું નહીં આપે તો બાદલ પરિવાર માટે પંજાબ પરત ફરવું મુશ્કેલ બનશે.