આર્યન ખાનના બચાવમાં ઉતરી મહબૂબા મુફ્તીઃ 'ખાન' સરનેમના કારણે ટાર્ગેટ પર, BJP નેતાનો પલટવાર
Updated: Oct 11th, 2021
- મહબૂબા હંમેશા પોતાના નિવેદનો દ્વારા સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરે છેઃ જમ્મુ કાશ્મીરના ભાજપના નેતા
નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર
એનસીબીએ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી હતી અને હાલ તે જેલમાં છે. આ મુદ્દે ચાલી રહેલું રાજકારણ હવે છેક જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગયું છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ લગાવેલા આરોપ પ્રમાણે આર્યનની સરનેમ 'ખાન' હોવાના કારણે તેને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.
મહબૂબા મુફ્તીએ આ સમગ્ર કેસને આર્યન ખાનના નામ અને ઓળખ સાથે જોડ્યો એટલે ભાજપે પણ વળતો હુમલો કર્યો છે. ભાજપના કહેવા પ્રમાણે મહબૂબા ફક્ત રાષ્ટ્રવિરોધી પોલિટિક્સ કરે છે.
મહબૂબા મુફ્તીએ લખ્યું હતું કે, 'ખેડૂતોની હત્યાના આરોપી ગૃહ રાજ્ય મંત્રીના દીકરાની જગ્યાએ કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે, બસ એટલા માટે કારણ કે તેની સરનેમ ખાન છે. ભાજપની કોર વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, આવું કરીને ન્યાયની મજાક ઉડાવવામાં આવી રહી છે.'
Instead of making an example out of a Union Minister’s son accused of killing four farmers, central agencies are after a 23 year old simply because his surname happens to be Khan.Travesty of justice that muslims are targeted to satiate the sadistic wishes of BJPs core vote bank.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 11, 2021
તેના જવાબમાં જમ્મુ કાશ્મીરના જ ભાજપના નેતા રવીન્દ્ર રૈનાએ જણાવ્યું કે, 'મહબૂબા મુફ્તી ફક્ત રાષ્ટ્રવિરોધી રાજકારણ કરે છે. મહબૂબા મુફ્તીને અલગાવવાદીઓ, દેશને તોડનારાઓ, લશ્કર સાથે જ લાગે વળગે છે. તેમના દરેક નિવેદનમાં અલગાવવાદ જોવા મળે છે.' આ ઉપરાંત તેમણે મહબૂબા હંમેશા પોતાના નિવેદનો દ્વારા સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરે છે તેવો આરોપ પણ લગાવ્યો હતો.