પાક. પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ, કુલભૂષણને છોડો : આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની અપીલ
- કુલભૂષણ સામે ચાલેલી પાક. સૈન્ય કોર્ટની ટ્રાયલ પણ ગેરકાયદે છે
- પાકિસ્તાને ૧૬૧ નિર્દોષ નાગરીકની હત્યા કરી, અનેક નિર્દોષોને જેલમાં પુરી રાખ્યા છે
Updated: Feb 18th, 2019
નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
ભારતના પૂર્વ અધિકારી અને હાલ પાકિસ્તાનની જેલમાં કેદ કુલભુષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહ્યો છે. સોમવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન ભારતે કોર્ટને કહ્યું છે કે તાત્કાલીક ધોરણે કુલભુષણ જાધવને છોડી મુકવા માટે પાકિસ્તાનને આદેશ આપવામાં આવે. કેમ કે કુલભુષણ જાધવ પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન જુઠા છે. આ જુઠા આરોપો હેઠળ કુલભુષણને ફાંસીની સજા કરવામાં આવી છે.
ભારતના નિવૃત નેવી અધિકારી કુલભુષણ જાધવની પાકિસ્તાને જુઠા આરોપો લગાવીને ધરપકડ કરી લીધી હતી. પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો છે કે કુલભુષણ જાધવ જાસુસી માટે પાકિસ્તાન આવ્યા હતા અને બલુચિસ્તાનમાથી તેની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે વાસ્તવિક્તા એ છે કે જાધવ પાકિસ્તાન ગયા જ નહોતા, તેઓ ઇરાન વ્યાપાર માટે ગયા હતા અને ત્યાંથી જ પાકિસ્તાને તેમનું અપહરણ કરી લીધુ હતું. બાદમાં ૨૦૧૭માં જાધવને ફાંસીની સજા કરવામાં આવી હતી. દરમિયાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દલિલો વેળાએ ભારતે જણાવ્યું હતું કે કુલભુષણ જાધવને જીવન જીવવાનો, ટ્રાયલનો સામનો કરવાનો અધિકાર છે.
ભારત વતી દલિલ કરતી વેળાએ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કોઇ પણ પ્રકારની ટ્રાયલ વગર જ અનેક નિર્દોશોને ફાંસીએ ચડાવીને તેની હત્યા કરી છે. આશરે ૧૬૧ નાગરીકોની હત્યા કરાઇ છે.
કુલભુષણ જાધવને પણ પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા આ સજા કરવામાં આવી છે સામાન્ય કોર્ટ દ્વારા નહીં તેથી આ સજા ગેરકાયદે છે અને તાત્કાલીક ધોરણે કુલભુષણ જાધવને છોડી મુકવા માટે કોર્ટ આદેશ આપે તેવી માગણી ભારતે આ આંતરરાષ્ટ્રીય કોર્ટ સમક્ષ મુકી હતી. ભારતે એવી પણ દલીલ કરી હતી કે પાકિસ્તાન જે દાવા કરી રહ્યુ છે તેને પુરવાર કરવા માટે એક પણ જરુરી ડોક્યુમેન્ટ જમા નથી કરાવી શક્યું.