ચીને લદ્દાખ સરહદે સૈનિકો વધારતાં ભારતે કે-૯ વજ્ર તોપો ગોઠવી
આગામી સપ્તાહે ૧૩મા તબક્કાની વાટાઘાટોની શક્યતા અગાઉ ડ્રેગનનું અટકચાળું
ચીન પૂર્વીય લદ્દાખ, ઉત્તરીય મોરચાથી લઈને વેસ્ટર્ન કમાન્ડ સુધી સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે : નરવાણે
Updated: Oct 2nd, 2021
લદ્દાખ, તા.૨
પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે તણાવપૂર્ણ વાતાવરણ હળવું કરવા માટે ભારતના અનેક પ્રયાસોને ચીનના કરતૂતોએ મોટો ફટકો પહોંચાડયો છે. ચીન પૂર્વીય લદ્દાખમાં સતત તેની રણનીતિ બદલી રહ્યું હોવાથી ચીનનો સામનો કરવા માટે ભારતે આખરે પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખ (એલએસી) પર કે-૯ વજ્ર તોપો તૈનાત કરી છે. બીજીબાજુ આર્મીના વડા જનરલ નરવાણેએ જણાવ્યું હતું કે, શાંતિ વાટાઘાટો અને સૈનિકોને પાછા ખેંચવા માટેની ચર્ચાઓ વચ્ચે ચીને પૂર્વીય લદ્દાખ અને ઉત્તરી મોરચાથી લઈને ભારતની પશ્ચિમી કમાન્ડ સુધી તેના સૈનિકોની સંખ્યામાં કરેલો નોંધપાત્ર વધારો ચિંતાજનક છે. વધુમાં ચીન સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતે પણ લદ્દાખમાં હોવિત્ઝર કે-૯ વજ્ર તોપો ગોઠવી છે.
ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિ અંગે આર્મીના વડા જનરલ મનોજમુકુંદ નરવાણેએ જણાવ્યુ હતું કે, ઑક્ટોબરના બીજા સપ્તાહમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ૧૩મા તબક્કાની વાટાઘાટો થશે અને કયા કયા વિસ્તારોમાંથી સૈનિકોને પાછા હટાવવામાં આવે તે અંગે ચર્ચા થશે. આ વાટાઘાટો માટે ભારત સરકારે એલએસી પર ૧૮ એવા સ્થળો શોધી કાઢ્યા છે, જ્યાં બંને સેનાઓ વચ્ચે ઉકેલ લાવવાની જરૂર છે. ભારતીય સૈન્યે સરહદ સંબંધી બધા જ વિવાદાસ્પદ મુદ્દાઓનો એક સાથે ઉકેલ લાવવાના બદલે એક સમયમાં એક મુદ્દાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય સૈન્ય અને પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે ૩૧મી જુલાઈની ૧૨મા તબક્કાની વાટાઘાટોમાં ગોગરા હાઈટ્સ પરનો વિવાદ ઉકેલવામાં સફળતા મળી હતી. એ જ રીતે ભારત હવે ચીની સૈન્ય સામે બધા જ મુદ્દાઓને એક સાથે ઉઠાવવાના બદલે એક-એક કરીને ઉઠાવવા માટે તૈયાર છે. બંને સૈન્ય વચ્ચે હવે ૧૩મા તબક્કાની વાટાઘાટો થવાની છે. ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાટાઘાટોમાં કોંગકા લા, ડેમચોક પાસે હોટ સ્પ્રિંગ્સમાં અવરોધો દૂર કરવા અને દેપસાંગમાં પેટ્રોલિંગના અધિકારોને જાળવી રાખવા અંગે ચર્ચા થશે.
#WATCH "...of late there've been increased infiltration attempts not supported by ceasefire violations. In last 10 days, there've been 2 ceasefire violations.... situation regressing to pre-February days," Army Chief General Manoj Mukund Naravane on Pakistan pic.twitter.com/incPtQhRk5
— ANI (@ANI) October 2, 2021
જોકે, આ વાટાઘાટો કેટલી સફળ થશે તે તો સમય જ કહેશે. કારણ કે ચીન શાંતિ વાટાઘાટો વચ્ચે સતત તેની ચાલ બદલતું રહ્યું છે અને ભારતીય સૈન્યને ઉશ્કેરવા માટે ભારતીય હદોમાં ઘૂસણખોરી કરવા અને સરહદ પર સૈનિકોની સંખ્યા વધારવા જેવાં પગલાં લીધા છે. જનરલ નરવાણેએ કહ્યું હતું કે, પૂર્વીય લદ્દાખ અને ઉત્તરીય મોરચાથી લઈને આપણા પૂર્વીય કમાન્ડ સુધી ચીને તેના સૈનિકોની સંખ્યા વધારી છે. ચીનનો સામનો કરવા માટે ભારતે પણ પૂર્વીય લદ્દાખના પર્વતીય વિસ્તારોમાં ૧૨,૦૦૦થી ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈ પર કે-૯ વજ્ર હોવિત્ઝર તોપો ગોઠવી છે. ઊંચા પર્વતીય વિસ્તારોમાં ચીન વિરુદ્ધ તોપોની મારક ક્ષમતા ચકાસવા માટે તેને ત્યાં ગોઠવાઈ છે. ભારત ચીન વિરુદ્ધ તેની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માગતું નથી. કે-૯ વજ્ર હોવિત્ઝર તોપોની પહેલી રેજિમેન્ટ પૂર્વીય લદ્દાખ સરહદે તૈનાત થઈ ચૂકી છે.
ભારતીય સૈન્યમાં બોફોર્સ તોપ પછી વર્ષ ૧૯૮૬થી કોઈપણ ભારે આર્ટીલરીનો સમાવેશ કરાયો નથી. તે દૃષ્ટિએ કે-૯ વજ્ર ૧૦૦ તોપોનો સૈન્યમાં સમાવેશ ખૂબ જ મહત્વનું છે. આ સ્વચાલિત આર્ટિલરી ગન છે. એટલે કે આ તોપોને અન્ય કોઈ ટ્રક અથવા અન્ય વાહનથી ખેંચવાની જરૂર નથી. તેમાં ટેન્કની જેમ વ્હિલ લાગેલા હોય છે અને તે રણથી લઈને પર્વતીય વિસ્તારોમાં દોડી શકે છે. વજ્ર તોપની મારક ક્ષમતા ૩૮ કિ.મી. છે. તે શૂન્ય રેડિય પર ચારે બાજુ ફરીને હુમલો કરી શકે છે. ૧૫૫ એમએમ/૫૨ કેલિબરની ૫૦ ટન વજનની તોપથી ૪૭ કિલોનો ગોળો ફેંકી શકાય છે. આ તોપ ૧૫ સેકન્ડમાં ત્રણ ગોળા ફેંકવા સક્ષમ છે. તેનું તાકતવર એન્જિન તેને પ્રતિ કલાક ૬૭ કિ.મી.ની ઝડપે દોડાવી શકે છે. તેમાં પાંચ સૈનિકોનું ક્રૂ હોય છે, જે ટેન્કની જેમ મજબૂત બખ્તરથી સલામત હોય છે. આ તોપ ૮૦ ટકા સ્વદેશી છે.