પુલવામા હુમલાનો બદલો: સેનાએ માસ્ટરમાઈન્ડ કામરાન અને ગાજીને ઠાર માર્યા
Updated: Feb 18th, 2019
શ્રીનગર, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર
સેનાએ પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલાનો પહેલો બદલો લઈ લીધો છે. સેનાએ પુલવામા એન્કાઉન્ટરમાં જૈશના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ કામરાન સામેલ છે. બીજો આતંકી ગાજી રશીદ છે. જેમાં આત્મઘાતી હુમલાવર આદિલ અહેમદ ડારને ટ્રેનિંગ આપી હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં મોડી રાત્રે શરૂ થયેલી આતંકવાદીઓ અને સેના વચ્ચેની અથડામણ સવારે પણ ચાલુ રહી. આ અથડામણમાં એક મેજર સહિત સેનાના 4 જવાન શહીદ થઈ ગયા જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહીદ જવાન 55 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. જે જવાન આ અથડામણમાં શહીદ થયા છે. તેમાં મેજર વીએસ ડોંડિયાલ, કોન્સ્ટેબલ શિવરામ, સૈનિક અજય કુમાર અને હરિ સિંહ સામેલ છે.
પિંગલાન વિસ્તારમાં 2-3 આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ સેનાએ આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી. વિસ્તારને ઘેરીને ઑપરેશનને અંજામ આપ્યુ. આ દરમિયાન કહેવામાં આવી રહ્યુ છે કે સેનાએ જૈશના બે આતંકીઓને મારી દીધા છે. એ પણ માહિતી સામે આવી છે કે જે ઘરમાં આતંકવાદી છુપાયેલા હતા, તેને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવાયુ.
એન્કાઉન્ટર બાદ પુલવામામાં કફર્યુ લગાવી દેવાયો છે. ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ગાજી રશીદ અને કામરાનને સેનાએ ઘેરીને ઠાર માર્યા છે. બંને આતંકી જૈશના ટૉપ કમાન્ડર હતા. જોકે તેની પુષ્ટિ કરી શકાઈ નથી.