જાણો આતંકવાદી હુમલો કરાવનાર પાકિસ્તાની સંગઠન જૈશ એ મહોમ્મદની કરમ કુંડળી
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામામાં જવાનો પરના આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર પાકિસ્તાના આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદ સંગઠન આ પહેલા પણ ભારત પર હુમલા કરાવી ચુક્યુ છે.
જૈશે એ મહોમ્મદ પાકિસ્તાની જેહાદી સંગઠન છે.જેનો ઈરાદો કાશ્મીરને ભારતથી અલગ કરવાનો છે.જેની સ્થાપના મૌલાના મસહૂદ અઝહરે માર્ચ 2000માં કરી હતી.હાલમાં તેનો મુખિયા મસૂદ અઝહરનો ભાઈ રઉફ અસગર છે.
2001માં અમેરિકાએ તેને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ 2002માં પાકિસ્તાને જૈશે એ મહોમ્મદને બેન કરી દીધુ હતુ.આ સંગઠનનુ નામ ભારત, અમેરિકા અને બ્રિેટન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ છે.
કંદહાર વિમાન હાઈજેકિંગ પ્રકરણ પહેલા મૌલાના મસૂદ અઝહર ભારતની કેદમાં હતો.તેને છોડાવવા માટે આતંકવાદીઓએ ભારતના વિમાનનુ અપહરણ કર્યુ હતુ.યાત્રિકોને છોડાવવા સરકારે મસૂદ અઝહરને કંદહાર લઈ જઈને મુક્ત કરવો પડ્યો હતો.
જૈશ એ મહોમ્મદે એ પછી ભારતને લોહી લુહાણ કરવાનુ ચાલુ જ રાખ્યુ છે.આ આતંકવાદી સંગઠન આત્મઘાતી હુમલાખોરોને મોકલીને હુમલો કરવા માટે કુખ્યાત છે.કટ્ટરપંથી ભાષણોની કેસેટો મોકલીને કાશ્મીરના યુવાઓને ગૂમરાહ કરવાનુ સંગઠને ચાલુ રાખ્યુ છે.હરકત ઉલ મુજાહિદ્દીન અને હરકત ઉલ અંસારના કટ્ટરપંથીઓ આ સંગઠન સાથે પણ જોડાયેલા છે.
સૂત્રોનુ કહેવુ છે કે ભરતી કરાયેલા આતંકવાદીઓને પહેલા તો ટેકનિકલ ટ્રેનિંગ અને બ્રેઈન વોશ માટે પાકિસ્તાનના બહાવલપુરના અન્ડરગ્રાઉન્ડ કેમ્પમાં મોકલે છે અને પછી તેમને ગ્રાઉન્ડ ટ્રેનિંગ માટે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના કેમ્પમાં મોકલાય છે.જ્યાં તેમને ભારતીય સુરક્ષાદળો પર આત્મઘાતી હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવે છે.
2001માં ભારતની સંસદ પર સૌથી મોટો આતંકવાદી હુમલો જૈશે એ મહોમ્મદ દ્વારા જ કરાયો હતો.જેમાં 9 લોકો શહીદ થયા હતા.આ સંગઠનના 5 આતંકવાદીઓએ આખા દેશને હચમચાવી દીધુ હતુ.
2002માં અક્ષરધામ મંદિર પર પણ આ જ સંગઠનના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.2005માં જૈશ અને લશ્કરના આતંકવાદીઓએ ભેગા મળીને દિલ્હીમાં બ્લાસ્ટ કર્યા હતા.
2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર પણ આ જ સંગઠને આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હીત.જ્યારે 2016માં પઠાણકોટ એરબેઝ પર જૈશ એ મહોમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.જેમાં 7 જવાનો શહીદ થયા હતા.