ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની શરણાગતિ સ્વીકારવા લાઈનો લાગી, આખરી ગઢ પણ નેસ્તનાબૂદ
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર
ક્રુરતાનો બીજો પર્યાય બની ચુકેલા આતકંવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના અત્યાચારથી એક સમયે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી.
જોકે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક હારનો સામનો કરીને પીછેહઠ કરી રહેલા ઈસ્લામિક સ્ટેટના આખરી ગઢને પણ અમેરિકાના નેતૃત્વવાળી નાટો સેનાએ નેસ્તનાબૂદ કરી નાંખ્યો છે.
ઈસ્લામિક સ્ટેટના કબ્જા હેઠળના સીરિયાના બાગૂજ શહેરને પણ નાટોના સૈનિકોએ સીરિયાની ડેમોક્રેટિક ફોર્સની મદદથી છોડાવી લીધુ છે.એ પછી ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ નાટો સૈનિકો સામે લડવાની જગ્યાએ શરણાગતિ સ્વીકારવા માટે પડાપડી કરી હતી.
ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓમાં એ હદે ફફડાટ હતો કે તેમણે શરણાગતિ સ્વીકારવા માટે લાઈનો લગાડી હતી.એ પછી આ આતંકવાદીઓને તેમના પરિવાર સાથે 36 ટ્રકોમાં રવાના કરાયા હતા.
આ પહેલા આતકંવાદીઓ પર દબાવ લાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળ બાગૂજ શહેર પર ભીષણ હવાઈ હુમલા કરાયા હતા.જેનાથી ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના લડી લેવાના દાવાની હવા નીકળી ગઈ હતી.