ભારતની સાથે ઈરાન પણ પાકિસ્તાન પર લાલચોળ, આપી આવી ચેતવણી
Updated: Feb 17th, 2019
નવી દિલ્હી, તા. 17. ફેબ્રુઆરી 2019 રવિવાર
પુલવામા આતંકવાદી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા છે.તેના ગણતરીના કલાકો પહેલા ઈરાનના 27 જવાનોએ પણ ઈસ્ફહાન શહેરમાં આ જ પ્રકારના આત્મઘાતી હુમલામાં જીવ ગુમાવ્યો હતો.
જેના પગલે ઈરાને હવે ભારતને તમામ પ્રકારનો ટેકો જાહેર કર્યો છે.ઈરાને રિવોલ્યુશનરી ગાર્ડસ તરીકે ઓળખાતા પોતાના સૈનિકોના મોત માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવીને કહ્યુ છે કે પાકિસ્તાને ભારે કિમત ચુકવવી પડશે.
ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ઈરાનના નાયબ વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરગાચી વચ્ચે તહેરાનમાં ગઈકાલે યોજાયેલી મુલાકાત બાદ બંને નેતાઓએ કહ્યુ હતુ કે હવે પાણી માથા પરથી ઉપર જતુ રહ્યુ છે.
આ મુલાકાત બાદ ઈરાનના નાયબ વિદેશ મંત્રી અબ્બાસ અરગાચીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભારત અને ઈરાન આતંકવાદના શિકાર બન્યા છે.બંને દેશોને ભારે નુકસાન થયુ છે.આજે ઈરાને ભારતના વિદેશમંત્રી સાથેની બેઠક બાદ આતંકવાદ સામે એક બીજાનો સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર મેજર મહોમ્મદ અલી જાફરીએ હુમલા બાદ સ્પષ્ટપણે પાકિસ્તાનનુ નામ લઈને કહ્યુ હતુ કે પાકિસ્તાનની ઈમરાન સરકાર જાણે છે કે જેહાદી તત્વો કોણ છે અને તેમને પાકિસ્તનાની સુરક્ષા એજન્સીઓનુ સમર્થન છે.જો આ સંગઠનોને પાકિસ્તાન સજા નહી કરે તો અમે તેમને આકરો જવાબ આપીશુ અને પાકિસ્તાને તેનુ પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.